ઉબડખાબડ રસ્તાઓથી માંડી ટૂંકા અંતરમાં બબ્બે ટોલ પ્લાઝા: મુશ્કેલીઓ ટાળો
સરકાર નવી ટોલ નીતિ લાવવા જઈ રહી છે તે સારી વાત છે. આનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને એક્સપ્રેસવે પર ટ્રાફિક હળવો કરવાનો અને લોકોને રાહત આપવાનો છે, પરંતુ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પ્રસ્તાવિત ટોલ નીતિ ખરેખર આ કરે છે. હાલની ટોલ નીતિ માત્ર વિસંગતતાઓથી પીડાય છે, પરંતુ ટોલ વસૂલવાની પ્રક્રિયા પણ બોજારૂૂપ છે. લોકોને સૌથી વધુ ખુંચતી બાબત હોય તો એ 100 કીમીથી પણ ઓછા અંતરમાં બબ્બે ટોલનાકા છે. જેનાથી ટુંકા અંતરની મુસાફરી કરતા લોકો પણ દંડાય છે. ટોલનાકાનું સ્થાન નક્કી કરવા વ્યુહાત્મક સાથે વ્યવહારીક નીતિ અપનાવી જોઇએ. જેમ જેમ નવા હાઇવે અને એક્સપ્રેસવે બની રહ્યા છે, તેમ તેમ વાહનોની સંખ્યા પણ વધી રહી છે. આ સાથે, પોતાના વાહનોનો ઉપયોગ કરીને લાંબા અંતરની મુસાફરી કરવાનું ચલણ પણ વધી રહ્યું છે, પરંતુ એવું જોવા મળી રહ્યું છે કે ટોલ વસૂલાત પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે.
ટોલ પ્લાઝા પરથી વાહનોને બહાર નીકળવામાં લાગતા સમય અંગે સરકારના દાવા ગમે તે હોય, સત્ય એ છે કે લગભગ સમગ્ર ટોલ વસૂલાત ઇલેક્ટ્રોનિક રીતે કરવામાં આવતી હોવા છતાં, કોઈને કોઈ કારણોસર વિલંબ થાય છે. આનું મુખ્ય કારણ ટોલ ઓપરેટરો અને એજન્સીઓની કામગીરીમાં કાર્યક્ષમતાનો અભાવ છે. નવી ટોલ નીતિમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગની વાત કરવામાં આવી રહી છે તે સાચું છે, પરંતુ તેની ઉપયોગીતા ત્યારે જ સાબિત થશે જ્યારે લોકોને રાહત મળશે. ફાસ્ટેગને એક અદ્યતન ટેકનોલોજી તરીકે લાગુ કરવામાં આવ્યું હતું પરંતુ સમય જતાં તે સમસ્યારૂૂપ બન્યું. નવી ટેકનોલોજી એવી હોવી જોઈએ કે તે ટોલ પ્લાઝાને ખરેખર અવરોધ-મુક્ત બનાવી શકે.
ટેકનોલોજી એવી વસ્તુ છે જેને સતત અપગ્રેડ કરવાની જરૂૂર છે. આપણા દેશમાં, આના પર જરૂૂરી ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. આશા છે કે નવી ટોલ નીતિમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવશે કે હાઇવે પર કયા આધારે અને કેટલા સમય માટે ટોલ વસૂલવામાં આવશે. આ સાથે, હાઇવે, એક્સપ્રેસ વે વગેરેના જાળવણી પર પણ ધ્યાન આપવું જરૂૂરી છે, કારણ કે વારંવાર એવું પ્રકાશમાં આવે છે કે ક્ષતિગ્રસ્ત હાઇવે અને એક્સપ્રેસ વેનું સમારકામ યોગ્ય રીતે અને સમયસર થતું નથી.