RBIના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને મળી મોટી જવાબદારી, PM મોદીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરાયા
ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ-2 નિયુક્ત કરવામાં આવ્યા છે. RBI ગવર્નર તરીકે 6 વર્ષ સુધી સેવા આપ્યા બાદ શક્તિકાંત દાસ ગયા વર્ષે ડિસેમ્બરમાં નિવૃત્ત થયા હતા. હવે નિવૃત્તિના થોડા મહિના બાદ તેમને મોટી જવાબદારી મળવા જઈ રહી છે. હાલમાં પ્રમોદ કુમાર મિશ્રા (પીકે મિશ્રા) પીએમના મુખ્ય સચિવ-1 છે. તેમની સાથે શક્તિકાંત દાસ હવે પ્રિન્સિપલ સેક્રેટરી-2ના રોલમાં જોવા મળશે. શક્તિકાંત દાસ 1980 બેચના નિવૃત્ત ભારતીય વહીવટી સેવા અધિકારી છે.
કેન્દ્ર સરકારમાં નિમણૂંક કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલાં જાહેરનામાંમાં કહેવામાં આવ્યું કે, 'મંત્રીમંડળની નિમણૂંક સમિતિએ શક્તિકાંત દાસ, આઈએએસ (રિટાયર્ડ) (ટીએનઃ80) ની વડાપ્રધાનના સચિવ-2 નિમણૂંકની મંજૂરી આપવામાં આવી છે. આ નિમણૂંક તેમના પદ સંભાળ્યા બાદથી અમલમાં આવશે. તેમની નિમણૂંક વડાપ્રધાનના કાર્યકાળની સાથે અથવા આવનારા આદેશ સુધી શરૂ રહેશે.'
શક્તિકાંત દાસ ડિસેમ્બર 2018થી છ વર્ષ સુધી આરબીઆઈના વડા હતા. તેમની પાસે ચાર દાયકાથી વધુના શાસનના વિવિધ ક્ષેત્રોમાં બહોળો અનુભવ છે. તેમણે નાણા, કરવેરા, ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે ક્ષેત્રોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોમાં મહત્વપૂર્ણ હોદ્દા પર કામ કર્યું છે. તેમના છ વર્ષના કાર્યકાળ દરમિયાન, દાસે કોવિડ-19 રોગચાળાના આર્થિક પતન અને રશિયા-યુક્રેન યુદ્ધની અસર સહિત અનેક મહત્વપૂર્ણ પડકારોમાંથી આરબીઆઈનું નેતૃત્વ કર્યું.
દાસે તેમના 6 વર્ષના RBI કાર્યકાળના છેલ્લા 4 વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર 7 ટકાથી ઉપર જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દાસ, 1980 બેચના IAS અધિકારી, મહેસૂલ વિભાગ અને આર્થિક બાબતોના વિભાગના સચિવ પણ રહી ચૂક્યા છે. આરબીઆઈમાંથી નિવૃત્ત થયા પછી, તેમને 15મા નાણાં પંચના સભ્ય અને ભારતના G20 શેરપાના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. દાસ પાસે લગભગ 4 દાયકાથી શાસનના વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો બહોળો અનુભવ છે.