યુનેસ્કોમાં આતશબાજી: અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં ‘દિવાળી’નો સમાવેશ
લાલ કિલ્લામાં ચાલતી યુનેસ્કોની બેઠક દરમિયાન નિર્ણય, ‘વંદે મારતમ્’ના નારા લાગ્યા: મોદી ગદ્ગદ્: દિલ્હીમાં આજે જ વિશેષ દીપાવલી સમારોહ, પાટનગરને શણગાર
ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને પરંપરા માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતીક સમાન ભારતના સૌથી મોટા તહેવાર ’દિવાળી’ને યુનેસ્કો (UNESCO) દ્વારા ’માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા’ (Representative List of Intangible Cultural Heritage of Humanity)) ની પ્રતિષ્ઠિત યાદીમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવ્યો છે.
આ ઐતિહાસિક નિર્ણય નવી દિલ્હીના લાલ કિલ્લા ખાતે ચાલી રહેલી યુનેસ્કોની બેઠક દરમિયાન લેવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે, ભારત પ્રથમ વખત અમૂર્ત સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટેની આંતર-સરકારી સમિતિના સત્રનું આયોજન કરી રહ્યું છે. આ સમિતિનું 20મું સત્ર 8 ડિસેમ્બરથી શરૂૂ થયું છે અને તે 13 ડિસેમ્બર સુધી ચાલશે. બુધવારે જ્યારે સમિતિએ દિવાળીને આ યાદીમાં સામેલ કરવાની જાહેરાત કરી, ત્યારે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું. નિર્ણયને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું : અમારા માટે દિવાળી અમારી સંસ્કૃતિ અને નૈતિકતા સાથે અત્યંત ગાઢ રીતે જોડાયેલી છે. તે અમારી સભ્યતાનો આત્મા છે. તે પ્રકાશ અને ધર્મનું પ્રતીક છે. દિવાળીને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં સામેલ કરવાથી આ તહેવારની વૈશ્વિક લોકપ્રિયતામાં વધુ વધારો થશે. પ્રભુ શ્રી રામના આદર્શો આપણને સદા માર્ગદર્શન આપતા રહે.
દિવાળીના સમાવેશની જાહેરાત થતાં જ બેઠકમાં હાજર રહેલા પ્રતિનિધિઓ અને ભારતીયોની ખુશીનો કોઈ પાર રહ્યો ન હતો. સૌએ ઉભા થઈને તાળીઓના ગડગડાટ સાથે આ નિર્ણયને વધાવ્યો હતો અને હોલમાં ’વંદે માતરમ’ તથા ’ભારત માતા કી જય’ ના ગગનભેદી નારા લગાવ્યા હતા.
આ જાહેરાત સાથે જ કેન્દ્ર સરકારે આજે વિશેષ દીપાવલી સમારોહ યોજવા નિર્ણય કર્યો છે. દિલ્હી સરકાર રાજવ્યાપી ઈમારતોને શણગારશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજશે.દિવાળીના સમાવેશ સાથે હવે ભારતની સાંસ્કૃતિક શાનમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. અત્યાર સુધી ભારતના 15 સાંસ્કૃતિક તત્વો/વારસાને યાદીમાં સ્થાન મળેલું છે.
યાદીમાં સામેલ અન્ય ધરોહર
ગુજરાતનું ગરબા નૃત્ય
કોલકાતાની દુર્ગા પૂજા
કુંભ મેળો - યોગ
વૈદિક મંત્રોચ્ચારની પરંપરા
રામલીલા (રામાયણનું પરંપરાગત મંચન)