કારની ટક્કરથી નાણા મંત્રાલયના ડે.સેક્રેટરીનું મૃત્યુ
ભારત સરકારના આર્થિક બાબતોના વિભાગના ઉપસચિવ નવજોત સિંહનું દિલ્હીના ધૌલા કુઆન વિસ્તારમાં રિંગ રોડ પર રોડ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. નવજોતસિંહ તેમની પત્ની સાથે બંગલા સાહિબ ગુરુદ્વારાથી હરિ નગર સ્થિત તેમના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે એક બીએમડબલ્યુ કારે તેમની બાઈકને ટક્કર મારી હતી, જેમાં તે અને તેમની પત્ની બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હાત.
બંનેને જીટીબી નગર સ્થિત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ નવજોતને મૃત જાહેર કર્યો હતો, જ્યારે તેની પત્નીની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં આરોપી મહિલા ડ્રાઈવર અને તેના પતિ પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે કાર જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂૂ કરી છે. કારમાં સવાર દંપતી ગુરુગ્રામના રહેવાસી છે.
પોલીસના જણાવ્યાનુસાર, દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનને ધૌલા કુઆંથી દિલ્હી કેન્ટ મેટ્રો સ્ટેશન તરફ ટ્રાફિક જામ અંગે ત્રણ પીસીઆર કોલ મળ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે રસ્તા પર ત્રાંસા રીતે પાર્ક કરેલી એક લક્ઝરી કાર જોઈ, જ્યારે મેટ્રો પિલર નંબર 57 પાસે ડિવાઈડર પાસે એક મોટરસાઈકલ પડી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે નવજોતસિંહની બાઈકને ટક્કર મારનાર કાર એક મહિલા ચલાવી રહી હતી.