આખરે 4 દિવસ બાદ 276 યાત્રીઓને લઈને ફ્રાન્સમાં રોકવામાં આવેલું વિમાન મુંબઇ પહોંચ્યું, મહેસાણા જિલ્લાના 90થી વધુ મુસાફરો હતા સવાર
માનવ તસ્કરીની શંકામાં ફ્રાંસમાં અટકાયતમાં લેવાયેલું રોમાનિયન વિમાન ભારત પહોંચી ગયું છે. આ વિમાનમાં 276 મુસાફરો સવાર હતા. મંગળવારે સવારે લગભગ 4 વાગ્યે પ્લેન મુંબઈ પહોંચ્યું હતું. આ વિમાન સોમવારે બપોરે 2.30 વાગ્યે (સ્થાનિક સમય) રવાના થયું હતું. જ્યારે આ પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું ત્યારે તેમાં 303 મુસાફરો સવાર હતા.
પરંતુ જ્યારે આ વિમાન ભારત પરત આવ્યું ત્યારે તેમાં માત્ર 276 મુસાફરો હતા. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે તે 27 ભારતીયો ક્યાં છે? તમને જણાવી દઈએ કે ગુરુવારે આ વિમાનને પેરિસથી 150 કિમી પૂર્વમાં વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકી દેવામાં આવ્યું હતું. આ પ્લેનમાં 21 મહિનાના બાળકની સાથે 11 સગીરો પણ સામેલ હતા. ફ્રેન્ચ સત્તાવાળાઓએ રવિવારે વિમાનને ફરીથી ઉડાન ભરવાની પરવાનગી આપી હતી.નોંધનીય છે કે આ વિમાનમાં મહેસાણાના 90 મુસાફરો સવાર હતા.
27 ભારતીયો ક્યાં છે?
સોમવારે આ વિમાને 276 મુસાફરો સાથે ભારત માટે ઉડાન ભરી હતી. બાકીના 27 મુસાફરોમાંથી 25 મુસાફરોએ ફ્રાન્સમાં રહેવા માટે અરજી કરી છે. આમાં બે સગીરનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, અન્ય બે મુસાફરોને ન્યાયાધીશ સમક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. સોમવારે આ વિમાન ભારત જવા રવાના થયા બાદ ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે ફ્રેન્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો.
ભારતે ફ્રાન્સનો આભાર માન્યો હતો
ફ્રાન્સમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું મુસાફરોની સલામત પરત સુનિશ્ચિત કરવા માટે સ્થળ પર હાજર દૂતાવાસની ટીમ સાથે નજીકથી કામ કરવા બદલ પણ આભાર. ભારતની એજન્સીઓનો પણ આભાર.
માનવ તસ્કરી માટે 20 વર્ષની જેલ
ફ્રાન્સના સત્તાવાળાઓએ માનવ તસ્કરીની શંકાના આધારે શુક્રવારે બે લોકોની અટકાયત કરી હતી. શનિવારે તેની કસ્ટડી 48 કલાક માટે લંબાવવામાં આવી હતી. દરમિયાન, એરલાઈને દાણચોરીમાં કોઈ સંડોવણી હોવાનો ઈન્કાર કર્યો છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં માનવ તસ્કરી માટે 20 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.