CM નીતિશને બળવાનો ડર, ભાજપ સમર્થક લલનસિંહના 185 વફાદારોને વેંતરી નાખ્યા
જુની સમિતિ વિખેરી નાખી, વફાદારોને જ મળશે સ્થાન
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જેડીયુમાં ભાજપના એજન્ટ મનાતા લલનસિંહને કદ પ્રમાણે વેતરી નાંખીને પ્રદેશ સમિતીમાંથી તેમના વફાદારોને રવાના કરી દીધા છે. નીતિશે 185 નેતાઓને રવાના કરીને સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, જેડીયુમાં પોતાની સાથે વફાદારી બતાવનારા નેતાઓને જ હોદ્દા મળશે. નીતિશે ગેંગસ્ટર કમ રાજકારણી પ્રભુનાથ સિંહના પુત્ર રણધીરસિંહને ઉપપ્રમુખ બનાવીને લલનસિંહને પણ વેતરી નાંખવાનો તખ્તો ઘડી નાંખ્યો હોવાનું મનાય છે.
નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી લલનસિંહને ભાજપ તરફ સોફ્ટ કોર્નર હોવાથી લલનસિંહ જેડીયુના નેતા તરીકે વર્તવાના બદલે ભાજપના એજન્ટ તરીકે વર્તી રહ્યા હોવાની નીતિશ કુમારને શંકા છે. નીતિશ માને છે કે, લલનસિંહ ભાજપ સાથે મળીને પોતાની સામે બળવો કરાવીને જેડીયુમાં સર્વેસર્વા બનાવવા માગે છે જેથી ભવિષ્યમાં બિહારમાં ભાજપના નેતાને મુખ્યમંત્રી બનાવી શકાય. નીતિશ કુમારે બનાવેલી નવી પ્રદેશ સમિતીમાં 10 ઉપપ્રમુખ, 49 મહામંત્રી, 46 મંત્રી, 9 પ્રવક્તા અને 1 ખજાનચી છે.
નીતિશે લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં રાખીને 15 મહિના પહેલાં 260 સભ્યોની પ્રદેશ સમિતી બનાવી હતી.હવે અચાનક નીતિશે જૂની પ્રદેશ સમિતીને વિખેરી નાંખીને 115 સભ્યોની નવી સમિતી બનાવી તેમાં જૂની સમિતીમાંથી 185 સભ્યોને રવાના કરીને 75 હોદ્દેદારોને જ રીપીટ કર્યા છે અને 40 નવા ચહેરાને તક આપી છે. સામાન્ય રીતે પ્રદેશ સમિતીની મુદત 3 વર્ષની હોય છે પણ નીતિશે સવા વર્ષ પછી જ પ્રદેશ સમિતીના વિખેરી નાખતાં નીતિશ નવાજૂની કરવાના મૂડમાં હોય એવું લાગી રહ્યું છે.