ખેડૂતોની દિલ્હી કૂચ, કાલે સંસદને ઘેરાવની ચીમકીથી મામલો તંગ
દિલ્હી ફરતે ત્રિસ્તરીય કિલ્લેબંધી, બોર્ડર ઉપર સિમેન્ટના ભારે બેરિકેડ મૂકી કાંટાળા તાર લગાવાયા, હરિયાણાના 15 જિલ્લામાં કલમ 144 લાગુ, ઇન્ટરનેટ બંધ
સંયુક્ત કિસાન મોરચાએ ખેડૂતોની વિવિધ માંગણીઓને લઇને આવતી કાલ તા.13ના રોજ સંસદને ઘેરાવની ચિમકી આપતા દિલ્હી ફરતે જબરી કિલ્લેબંધી કરવામાં આવી છે. અને દિલ્હી ઉપરાંત પંજાબ અને હરિયાણામાં ટેન્શન ઉભુ થતા ત્રિસ્તરીયા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને બીએસએફ તથા રેપીડ એક્શન ફોર્સની 50 કંપની તૈનાત કરવામાં આવી છે. સાથો સાથ સરકાર દ્વારા ખેડૂત સંગઠનો સાથે વાટાઘાટો પણ ચાલુ રાખવામાં આવી છે.
પંજાબ અને હરિયાણામાં ખેડૂતોના વિરોધને લઈને ભારે હોબાળો મચી ગયો છે. 26 ખેડૂત સંગઠનો દ્વારા 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફની કૂચ વચ્ચે ભારતીય કિસાન યુનિયન ઉગ્રાન જૂથે 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે. હરિયાણા પોલીસે દિલ્હી તરફની કૂચને રોકવા માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે. પોલીસે હરિયાણા-પંજાબ બોર્ડર પર રસ્તાઓ ખોદી નાખ્યા છે. તેમજ કિલ્લાઓ અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં હરિયાણાના 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સાત જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. રાજધાની ચંદીગઢમાં 60 દિવસ માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે.
ખેડૂતોનું આંદોલન પંજાબથી શરૂૂ થયું છે. પંજાબના બિયાસથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ સાથે હરિયાણા તરફ રવાના થયા છે. આ ખેડૂતો બિયાસ બ્રિજથી ફતેહગઢ સાહિબ જવા રવાના થયા છે. તેમની સાથે કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના નેતા સર્વન સિંહ પંઢેર હાજર છે.
ખેડૂતોના આંદોલનને કારણે હરિયાણા સરકારે મોટું પગલું ભર્યું છે. સિરસામાં ચૌધરી દલબીર સિંહ ઇન્ડોર સ્ટેડિયમ અને ગુરુ ગોવિંદ સિંહ સ્ટેડિયમ ડબવાલીને અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. ખેડૂતોને કસ્ટડીમાં લીધા બાદ તેમને આ જેલમાં ખસેડવામાં આવી શકે છે. હરિયાણા પોલીસે સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનારાઓને ચેતવણી પણ આપી છે.
હરિયાણા સરકારે 15 જિલ્લા રોહતક, સોનીપત, ઝજ્જર, જીંદ, કુરુક્ષેત્ર, કૈથલ, અંબાલા, સિરસા, ફતેહાબાદ, હિસાર, ભિવાની અને પંચકુલામાં કલમ 144 લાગુ કરી છે. આ સિવાય 7 જિલ્લા અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ, સિરસા અને ડબવાલીમાં મોબાઈલ ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે.
હરિયાણા અને દિલ્હીની ટિકરી બોર્ડર પર કાંટાળા તાર, લોખંડ અને સિમેન્ટથી બનેલા ભારે બેરિકેડ લગાવવામાં આવ્યા છે. બીકેયુ લોકશક્તિના પ્રદેશ અધ્યક્ષ જગબીર ઘસોલાના નેતૃત્વમાં ખેડૂતોએ ચરખી દાદરીમાં એક બેઠક યોજી હતી અને 13 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર સાથે દાદરીથી દિલ્હી સુધી કૂચ કરશે. ખેડૂતોએ આંદોલનને આગળ વધારવા માટે પંચાયતો પાસે પણ સમર્થન માંગ્યું છે.
ખેડૂતોના આંદોલનને કારણે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે ખેડૂતોના નેતાઓ સાથે બેઠક કરશે. આ પહેલા પણ તેમણે ચંદીગઢમાં ખેડૂતો સાથે બેઠક કરી હતી. ગઈકાલે પંજાબના મુખ્યમંત્રીની પહેલને પગલે ત્રણ મંત્રીઓ વચ્ચે આ બેઠક યોજાઈ હતી.