For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઓડિશા-આંધ્રમાં જૂના સાથીઓને એનડીએમાં પાછા લાવવા પ્રયાસ

01:21 PM Mar 09, 2024 IST | Bhumika
ઓડિશા આંધ્રમાં જૂના સાથીઓને એનડીએમાં પાછા લાવવા પ્રયાસ

ગુજરાતીમાં કહેવત છે કે, વાર્યા ના વળે એ હાર્યા વળે. ઓડિશાની સત્તાધારી બીજુ જનતા દળ (બીજેડી) સાથે જોડાણના મુદ્દે ભાજપ માટે આ કહેવત સાચી પડી રહી હોય એવું લાગે છે. ઓડિશામાં છેલ્લાં 25 વર્ષથી સત્તા ભોગવી રહેલા બીજુ જનતા દળ અને નવીન પટનાઈકને હરાવવા માટે ભાજપે બધા ઘમપછાડા કરી જોયા પણ સફળતા ના મળી. બીજેડી સામે સતત હાર પછી ભાજપ હવે પાછો વળવા તૈયાર થઈ ગયો છે અને નવિન પટનાઈકની બીજેડી સામે દોસ્તીનો હાથ લંબાવ્યો છે. લોકસભાની ચૂંટણી ઓડિશામાં ભાજપ અને બીજેડી સાથે મળીને લડે એ માટે બેઠકો શરૂૂ થઈ છે. ભુવનેશ્વરમાં બીજેડીના કર્તહર્તા અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના નિવાસસ્થાન નવીન નિવાસ ખાતે જોડાણ પર ચર્ચા માટે મેરેથોન બેઠક પણ થઈ ગઈ. બીજેડી ઉપપ્રમુખ દેબી પ્રસાદ મિશ્રાએ સ્વીકારી પણ લીધું કે, અમે ભાજપ સાથે જોડાણ માટે ચર્ચા કરી રહ્યા છીએ. ભાજપે પણ બીજેડી સાથે ચર્ચા ચાલી રહી હોવાની વાતને સમર્થન આપ્યું છે. એવી જ રીતે આંધ્રમાં ચંદ્રાબાબ નાયડુને પણ એનડીએમાં પાછા લાવવા તકતો ગોઠવાયો છે. ઓડિશામાં લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવા દિલ્હીમાં ભાજપની લાંબી બેઠક યોજાઈ પછી ભાજપ સાંસદ જુઆલ ઓરમે પણ સ્વીકાર્યું કે, બીજેડી સાથે જોડાણ અંગે વાતચીત ચાલી રહી છે અને અંતિમ નિર્ણય હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. હાઈકમાન્ડ શું નિર્ણય લેશે એ કહેવાની જરૂૂર નથી કેમ કે મોદી પોતે હમણાં ઓડિશા ગયા ત્યારે નવીન પટનાઈક પર મન મૂકીને વરસ્યા હતા. મોદીએ નવીનને લોકપ્રિય મુખ્ય પ્રધાન ગણાવીને ભરપેટ વખાણ કર્યાં ત્યારે જ નક્કી થઈ ગયેલું કે, ભાજપ હવે બીજેડી સામે લડીને થાક્યો છે ને સમાધાન કરવા તૈયાર થઈ ગયો છે. નીતીશ કુમારની જેડીયુ સાથે ભાજપે બુચ્ચા કરી લીધા ને હવે ઓડિશાની બીજુ જનતા દળ પણ 2024ની લોકસભા ચૂંટણી પહેલા એનડીએમાં જોડાઈ જશે.
ભાજપ અને બીજેડી વચ્ચે કઈ રીતનું જોડાણ થાય છે તેની ખબર થોડા દિવસોમાં પડી જશે પણ અત્યારે જે વાતો છે એ પ્રમાણે, લોકસભામાં ભાજપ અને વિધાનસભાની ચૂંટણીમાં બીજેડીનો હાથ ઉપર રહે એ પ્રકારનું જોડાણ કરાશે.

Advertisement

ઓડિશામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે યોજાવાની છે. ઓડિશામાં લોકસભાની 21 અને વિધાનસભાની 147 બેઠકો છે. અત્યારે ચાલી રહેલી વાતો પ્રમાણે, ભાજપ લોકસભાની વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખે જ્યારે બીજેડી વિધાનસભા ચૂંટણીમાં વધારે ઉમેદવારો ઊભા રાખે એવી ગોઠવણ થશે. ઓડિશામાં લોકસભાની 21 બેઠકોમાંથી ભાજપ 13 અને બીજેડી આઠ બેઠકો પર લડે જ્યારે વિધાનસભાની 147 બેઠકોમાંથી 107 બેઠકો પર બીજેડી લડે જ્યારે ભાજપ 40 બેઠકો પર લડે એવી ફોર્મ્યુલા વિચારાઈ રહી છે.ભાજપ અને બીજેડી વચ્ચેના જોડાણમાં શું નક્કી થાય છે એ વાજતું ગાજતું સામે આવવાનું જ છે પણ આ જોડાણ થશે તો જૂના સાથી ફરી એક થશે કેમ કે પહેલાં ભાજપ-બીજેડી સાથે જ હતાં પણ આ જોડાણ બેઠકોની વહેંચણીના મુદ્દે ડખો પડતાં 15 વર્ષ પહેલા તૂટી ગયું હતું.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement