ગુજરાતના કાંઠા નજીક હિંદ મહાસાગરમાં જહાજ પર ડ્રોન હુમલો: 20 ભારતીય ક્રૂ-મેમ્બર સવાર હતા,એલર્ટ જારી કરાયું
હમાસ અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે શનિવારે અરબી સમુદ્રમાં ઇઝરાયેલ સાથે જોડાયેલા જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર, આ હુમલો ગુજરાતના વેરાવળથી 200 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં કરવામાં આવ્યો હતો. હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી. પરંતુ સમયસર આગ કાબુમાં આવી હતી. આ જહાજ સાઉદી અરેબિયાના એક બંદરેથી ભારતના મેંગલોર આવી રહ્યું હતું.
રિપોર્ટ અનુસાર આગ બુઝાવી દેવામાં આવી છે પરંતુ કામને અસર થઈ છે. જહાજ પર કેમિકલ પ્રોડક્ટ્સ લોડ કરવામાં આવી હતી. બ્રિટિશ મેરીટાઇમ સિક્યોરિટી ફર્મ એમ્બ્રે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલના સહયોગી વેપારી જહાજને ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રમાં માનવરહિત એરિયલ વ્હીકલ (ડ્રોન) દ્વારા ટક્કર મારી હતી. જેના કારણે જહાજમાં આગ લાગી હતી.
UKMTO WARNING 018/DEC/2023
ATTACK – INCIDENT 018 UPDATE 01
UKMTO have received a report of an attack by Uncrewed Aerial System (UAS) on a vessel causing an explosion and fire. https://t.co/qFzIsjDvnj#MaritimeSecurity #marsec pic.twitter.com/gBARms8K9T
— United Kingdom Maritime Trade Operations (UKMTO) (@UK_MTO) December 23, 2023
હુમલાથી કામકાજ પ્રભાવિત થયું છે
ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, એમ્બ્રે દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના વેરાવળથી 200 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં બનેલી આ ઘટનામાં ટેન્કરમાં લાગેલી આગ કોઈ જાનહાનિ વિના ઓલવાઈ ગઈ હતી. જહાજને થોડું માળખાકીય નુકસાન થયું છે, જેના કારણે તેની કામગીરી પર અસર પડી છે.
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય નેવી આ હુમલાનો જવાબ આપી રહી છે. નૌકાદળના અધિકારી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આસપાસના વિસ્તારમાં ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો અરબી સમુદ્ર તરફ આગળ વધી રહ્યા છે.
ઈઝરાયેલના જહાજ પર આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે તાજેતરમાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓએ લાલ સમુદ્રમાંથી પસાર થઈ રહેલા ઈઝરાયેલના જહાજોને નિશાન બનાવવાની ચેતવણી આપી હતી. હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં અનેક વેપારી જહાજોને પણ નિશાન બનાવ્યા હતા. જેના કારણે કોમર્શિયલ જહાજોને તેમના રૂટ બદલવાની ફરજ પડી રહી છે. નવેમ્બરમાં, હુથી બળવાખોરોએ લાલ સમુદ્રમાં એક કાર્ગો જહાજને પણ હાઇજેક કર્યું હતું.
ICGS વિક્રમ હુમલાની તપાસ માટે રવાના થયા હતા
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમને ઈઝરાયેલના જહાજ પર થયેલા હુમલાની તપાસ માટે મોકલવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર જે જહાજ પર હુમલો કરવામાં આવ્યો તેનું નામ એમવી કેમ પ્લુટો છે. જહાજ ક્રૂડ ઓઈલથી ભરેલું છે. આ જહાજ સાઉદી અરેબિયાના એક બંદરેથી મેંગલોર આવી રહ્યું હતું. ICGS વિક્રમને ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં પેટ્રોલિંગ કરવા માટે તૈનાત કરવામાં આવ્યા હતા. સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારના તમામ જહાજોને મદદ પૂરી પાડવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.