'જૂની પેન્શન સ્કીમનો વાયદો ન કરશો,ખર્ચ થશે અસહ્ય', RBIએ રાજ્યોને આપી ગંભીર ચેતવણી
દેશના અનેક રાજ્યોમાં જૂની પેન્સન યોજના લાગુ કરવાની માંગ ઉગ્ર બની રહી છે અને આ માટે આંદોલનો પણ કરવામાં આવી રહ્યા છે તેમજ ઘણા વિપક્ષી શાસિત રાજ્યોએ OPSને ફરીથી શરુ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ રાજ્યોને ચેતવણી આપી છે કે તેઓ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવા વિશે વિચારે નહીં. જેના કારણે તેમનો ખર્ચ અનેકગણો વધી જશે અને અસહ્ય બની જશે. RBIએ પોતાના રિપોર્ટમાં નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમના વચનો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકારોને સલાહ આપી હતી કે જનતાને આકર્ષવા માટે આપવામાં આવેલા વચનોને કારણે તેમના નાણાકીય સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. OPS સરકારી તિજોરી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે.
કેટલાક રાજ્યોમાં OPS લાગુ કરવામાં આવ્યું છે, કેટલાકમાં વિચારણા ચાલી રહી છે
તાજેતરમાં કેટલાક રાજ્યોએ જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરી છે. જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબનો સમાવેશ થાય છે. તેમજ કર્ણાટકમાં પણ OPS લાવવાની ચર્ચા ચાલી રહી છે. RBIએ રાજ્યોને નવી પેન્શન યોજના (NPS) ચાલુ રાખવાની સલાહ આપી છે. તેનો રિપોર્ટ 'સ્ટેટ ફાયનાન્સઃ અ સ્ટડી ઓફ બજેટ્સ ઓફ 2023-24' બહાર પાડતા આરબીઆઈએ ચેતવણી આપી હતી કે જો તમામ રાજ્યો OPS પાછું લાવે છે, તો તેમના પર નાણાકીય દબાણ લગભગ રૂ. 4.5 ગણા સુધી વધી જશે. OPS જીડીપી પર નકારાત્મક અસર કરશે. આના પર વધારાના ખર્ચનો બોજ 2060 સુધીમાં જીડીપીના 0.9 ટકા સુધી પહોંચી જશે.
વિકાસના કામો માટે પૈસા નહીં મળે
આરબીઆઈના રિપોર્ટ અનુસાર, જે રાજ્યોએ ઓપીએસને પુનઃસ્થાપિત કર્યું છે તેની તર્જ પર અન્ય રાજ્યોએ પણ તેને લાવવા પર વિચારણા શરૂ કરી દીધી છે. જો આમ થશે તો રાજ્યો પર નાણાકીય બોજ વધશે અને વિકાસના કામો પર થતા ખર્ચમાં ઘટાડો થશે. આરબીઆઈએ કહ્યું કે ઓપીએસ એક પછાત પગલું છે. આનાથી અગાઉના સુધારાના લાભો ભૂંસી જશે. આનાથી ભાવિ પેઢીને નુકસાન થાય તેવી ભીતિ પણ છે. રિપોર્ટ અનુસાર, OPSની છેલ્લી બેચ 2040ની શરૂઆતમાં નિવૃત્ત થશે અને તેમને 2060 સુધી પેન્શન મળતું રહેશે.
આવકમાં વધારો કરો, લોકપ્રિય વચનો ન આપો - RBI
આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણી છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ પોપ્યુલિસ્ટ વચનો દ્વારા ખર્ચ વધારવાને બદલે આવક વધારવાનું સૂચન કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યોએ તેમની કમાણી વધારવા વિશે વિચારવું જોઈએ. રાજ્યોએ નોંધણી ફી ઘટાડવા, સ્ટેમ્પ ડ્યુટી, ગેરકાયદેસર ખાણકામ અટકાવવા, કર સંગ્રહ વધારવા અને કરચોરી રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ સિવાય પ્રોપર્ટી, એક્સાઈઝ અને ઓટોમોબાઈલ પર ટેક્સ રિન્યુ કરવા પર ધ્યાન આપવું જોઈએ જેનાથી તેમની આવકમાં વધારો થશે.