For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દિવાળી: પ્રકાશથી પ્રેરિત જીવનની નવી દિશા

10:59 AM Oct 18, 2025 IST | Bhumika
દિવાળી  પ્રકાશથી પ્રેરિત જીવનની નવી દિશા

દિવાળી... શબ્દ સાંભળતા જ મનમાં ઝગમગતા દીવડા, રંગબેરંગી રંગોળી, મીઠાઈ, ફટાકડા, રોશની અને નાના મોટા સૌ નવા કપડાંમાં સજ્જ હોય એવું આબેહૂબ દૃશ્ય મન સામે ખડું થઈ જાય છે. ભગવાન શ્રીરામના અયોધ્યા વાપસીના એ પાવન પ્રસંગથી શરૂૂ થયેલી દિવાળી, આજે પણ આપણને એ જ સંદેશ આપે છે કે અસત્યની સામે સત્ય અને ધર્મનો પ્રકાશ ક્યારેય મટતો નથી. એ સદા ચિરંજીવ જ રહે છે. દરેક ઝગમગતો દીવડો સમજાવી જાય છે કે, ‘તમે નાના હોય કે મોટા પ્રકાશ ફેલાવવા એક દીવો જ પૂરતો છે.’

Advertisement

દિવાળીનો તહેવાર આપણી ભારતીય સંસ્કૃતિનું હૃદય છે. જ્યાં પ્રેમ, એકતા અને રોશનીના ઝગમગાટથી જીવનમાં તાજગી અને આનંદમાં ઉમેરો કરે છે. દ્વેષભાવ કે ઈર્ષા ત્યજીને એકબીજાને ગળે મળીને એક નવી શરૂૂઆત કરવાની તક આપે છે. જ્યાં દીવા પ્રગટે ત્યાં હજારો દુ:ખો ઓગળી જાય છે તેમજ જ્યાં પ્રકાશ ફેલાય ત્યાં હજારો આશા જન્મે છે. દિવાળીમાં કોઈના ચહેરા પર પણ જો ખુશી લાવી શકીએ તો એ દિવાળી સાર્થક ગણાય. ઈર્ષા કે અહંકારરૂૂપી મનના અંધકારને હટાવીને સૌ સાથે હળીમળીને અંતરના આત્માને પણ પ્રકાશિત કરીએ.

દિવાળીની ઝગમગતી રોશની જ શીખવી જાય છે કે, માત્ર નાનકડો દીવો પણ ઘેરા રંગના અંધકારને પળવારમાં મિટાવી શકે છે. તો આપણે તો કાળા માથાના માનવી, જે ધારીએ તે કરી શકીએ. કોઈના જીવનમાં નાનકડો દીવો કરીને પ્રકાશ રેલાવી શકીએ કે નહીં, પરંતુ આપણાં મનની અંદરના અંધકારને દૂર કરવા જરૂૂર એક નાનકડો દીવો પ્રગટાવીએ. મન જેટલું સાફ હશે ખુશી એટલી જ વધુ હશે. જેમ દિવાળીએ ઘરની સાફસફાઈ કરીએ તેમજ મનની અંદર રહેલાં ઈર્ષા, અદેખાઈ અને નકારાત્મક વિચારોને દૂર કરીને પ્રેમ, સહાનુભૂતિ અને આંનદનો પ્રકાશ પાથરીએ.

Advertisement

ધનતેરસ એ સમૃદ્ધિનું પ્રતિક છે, પરંતુ ફક્ત ધન મેળવવાની લાલચમાં પ્રેમ, ધર્મ અને દયાભાવને નેવે ના મૂકતા તેને પણ દિલથી અપનાવો. જે સંપત્તિમાં સન્માન અને સહાનુભૂતિ નથી એ સંપત્તિ અધૂરી છે. સાચી સમૃદ્ધિ તો તમારી પાસે કેટલું છે એમાં નહીં, પરંતુ કેટલું વહેંચો છો એ છે. આપણે ત્યાં એક કહેવત છે, ‘ફૂલ નહીં તો ફૂલની પાંખડી’, આ કહેવત જેટલા પણ કોઈને મદદરૂૂપ થઈએ તો તમારું ધન સાર્થક છે. બાકી તમે ધનના માલિક નહીં તેના પૂજારી જ છો, જે વારસાગત પૂજારી બદલતા રહેશે અને ધન તેનું તે જ હશે. દિવાળીના પર્વમાં બાળકોને પણ દયાનુભૂતિ દર્શાવતા શીખવો. લક્ષ્મીને પણ પૈસાનો પૂજારી નહીં, પરંતુ દયાનો સાગર કે દાન આપનાર દાતા વ્હાલો હોય છે.

આજના યુગમાં પર્યાવરણને બચાવવું એ આપણી સૌથી મોટી ફરજ છે. વધુ ધુમાડા કરતાં ફટાકડા કે વધુ પડતાં મોટા અવાજવાળા ફટાકડાનો બહિષ્કાર કરીએ. બાળકોને પણ આટલું જરૂૂર સમજાવીએ કે, સાચો આનંદ ફટાકડા ફોડવા કરતાં પર્યાવરણને બચાવવામાં છે. જો સમયસર આ ચેતવણીને ગંભીર નહીં સમજીએ તો આપણા જ બાળકો શુદ્ધ હવા કે પાણી વગર તરફડિયા મારશે. પર્યાવરણની જાળવણી એ કોઈ એકલા સરકારની જવાબદારી નહીં, પણ આપણા સૌની નૈતિક ફરજ છે. આટલું આપણે પણ શીખીએ સાથે આપણાં બાળકોને પણ જવાબદારીનું ભાન કરાવીએ.

અંતે, દિવાળી એ એક એવો તહેવાર છે જ્યાં દીવો ફક્ત બહાર જ નહીં, ધારીએ તો અંદર પણ પ્રગટી શકે. આપણે જો પ્રેમ, સહાનુભૂતિ અને સાથે સાથે કરૂણાનાં દીવા પ્રગટાવીએ, તો દુનિયા ખરેખર ઉજળી થઈ જશે. શુદ્ધ ઘર અને શુદ્ધ મન એ જ દિવાળીની સાચી ઊજવણી છે.
ચાલો, આ વર્ષે દિવાળીને ફક્ત ઉજવીએ જ નહીં, પણ જીવીએ. સર્વેને દિવાળીની હાર્દિક શુભકામનાઓ અને પ્રકાશમય નૂતન વર્ષની શુભેચ્છાઓ.

Advertisement
Tags :
Advertisement
Advertisement