જેલમાંથી છુટતાં જ દિલ્હીના મુખ્યમંત્રી મુકાયા મુશ્કેલીમાં, સ્વાગતમાં ફટાકડાં ફોડવામાં આવતા પોલીસ કેસ નોંધાયો
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. આ જામીન સાથે જ સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ રાખી છે. આ દરમિયાન જેલમાંથી આવતા જ અરવિંદ કેજરીવાલનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ કોઈએ તેમના સ્વાગત માટે ફટાકડાં ફોડતા આ મામલે એફઆઈઆર દાખલ થઇ છે. ગઈ કાલે જ્યારે કેજરીવાલને જામીન પર મુક્ત કરવામાં આવ્યા ત્યારે તેમના સમર્થકો અને કાર્યકરોએ તિહાર જેલથી લઈને મુખ્યમંત્રી આવાસ સુધી ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત CBI કેસમાં લગભગ છ મહિનાથી તિહાર જેલમાં બંધ અરવિંદ કેજરીવાલને ગઈકાલે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જે બાદ કેજરીવાલ લગભગ 6.30 વાગ્યે જેલમાંથી મુક્ત થયા હતા. જામીન મળવા પર, કેજરીવાલે સામાન્ય AAP નેતાઓ અને કાર્યકરોમાં મીઠાઈઓ વહેંચીને અને ઢોલ વગાડીને અને ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કેજરીવાલના સ્વાગત માટે ભારે વરસાદ છતાં સવારથી જ AAP નેતાઓ, કાર્યકરો અને સમર્થકોની ઉત્સાહી ભીડ તિહાર જેલની બહાર એકઠી થવા લાગી હતી. AAP કાર્યકર્તાઓએ જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.