વિધાનસભાની પેટા ચૂંટણીમાં હાર ભાજપ માટે મનોમંથનનો સમય
લોકસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં ત્યારે ભાજપને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. લોકસભાની ચૂંટણીમાં 370 બેઠકો જીતીને બે તૃતિયાંશ બહુમતી મેળવવાની વાતો કરતા ભાજપને માત્ર 240 બેઠકો મળતાં ભાજપ સ્પષ્ટ બહુમતી પણ નહોતો મેળવી શક્યો. લોકસભાની ચૂંટણીનાં પરિણામોના બરાબર એક મહિના ને નવ દિવસ પછી ભાજપને લોકોએ ફરી બીજો નાનો આંચકો આપી દીધો.
મોટો ભૂકંપ આવે પછી થોડા થોડા સમયે આફ્ટરશોક્સ આવ્યા કરે એમ લોકસભાની ચૂંટણી પછી ભાજપને વિધાનસભાની પેટાચૂંટણીઓમાં આફ્ટરશોકનો અનુભવ થઈ ગયો. 7 રાજ્યોની 13 વિધાનસભા બેઠકો પર 10 જુલાઈએ મતદાન થયેલું અને 13 જુલાઈ ને શનિવારે પેટાચૂંટણીના પરિણામો આવ્યાં તેમાં ભાજપને સમ ખાવા પૂરતી બે સીટ મળી છે અને આ બંને બેઠકો ભાજપ સાવ નજીવી સરસાઈથી જીત્યો છે.
આ બંને બેઠકો પાછી પક્ષપલટુઓએ જીતી છે. ભાજપના શરમજનક દેખાવ સામે કોંગ્રેસની આગેવાની હેઠળના એનડીએ મોરચાએ જબરદસ્ત દેખાવ કરીને 10 બેઠકો જીત્યા છે. બિહારની રૂૂપૌલી બેઠક પર ગેંગસ્ટર શંકરસિંહ જીત્યા છે તેથી ભાજપ ને કોંગ્રેસ બંને હાર્યાં છે પણ બાકીની બેઠકો પર ઈન્ડિયા મોરચાનો દબદબો છે. ભાજપ વિરોધી પક્ષોમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ 4, કોંગ્રેસ 4, ડીએમકે 1 અને આમ આદમી પાર્ટી 1 બેઠકો સાથે 10 બેઠકો જીતીને ભાજપ પર ભારે પડી ગઈ છે. ઉત્તરાખંડમાં ભાજપની હિંદુઓના પવિત્ર યાત્રાધામ અને ચાર ધામ પૈકીના એક બદ્રીનાથ બેઠક પર કારમી હાર થઈ એ લોકસભાની ચૂંટણીમાં અયોધ્યા બેઠક પર થયેલી હાર જેવી જ છે. બદ્રીનાથમાં કોંગ્રેસના લખપતસિંહ બુટોલા ભાજપના રાજેન્દ્રસિંહ ભંડારી સામે 5 હજારથી વધારે મતે હારી ગયા છે. 2022ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ ભંડારી કોંગ્રેસની ટિકિટ પર જીતેલા પણ ભાજપ તેમને તોડીને લઈ ગયેલો ને પેટાચૂંટણીમાં ઉમેદવાર બનાવી દીધા.
બદ્રીનાથના મતદારોએ ભંડારી અને ભાજપ બંનેને પાઠ ભણાવીને હરાવીને ઘરભેગા કરી દીધા છે. યોગાનુયોગ શુક્રવારે જ મહારાષ્ટ્ર વિધાન પરિષદની 11 બેઠકોમાંથી 9 બેઠકો ભાજપના નેતૃત્વ હેઠળનો મોરચો જીત્યો તેમાં ભાજપના નેતા મહારાષ્ટ્રમાં પોતાની જીતના દાવા કરતા હતા. આ પરિણામો એ વાતનો પુરાવો છે કે, પ્રજાના મનમાંથી ભાજપ ધીરે ધીરે ઉતરી રહ્યો છે. ભાજપ માટે આ પરિણામો ચોંકાવનારાં છે અને તેણે આ પરિણામો પછી ખરેખર મનોમંથન કરવાની જરૂૂર છે. ભાજપે લોકોનો ભરોસો પોતે કેમ ગુમાવી દીધો એ વિશે વિચારવાની જરૂૂર છે. તમિલનાડુ કે બંગાળમાં તો ભાજપ આમેય જીતતો નથી પણ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવાં રાજ્યોમાં પણ ભાજપના ભાવ કેમ ગગડી રહ્યા છે અને સાવ પતી ગયેલી મનાતી કોંગ્રેસ પર લોકો પાછો કેમ ભરોસો કરી રહ્યાં છે તેનું વિશ્ર્લેષણ ભાજપે કરવું જોઈએ.