મોન્થા વાવાઝોડાનો કહેર, 4 રાજ્યોમાં યાતાયાત ઠપ્પ
આજે રાત્રે આંધ્રના કાંઠે ટકરાશે, 54 ટ્રેનો અને અનેક ફલાઈટો રદ, શાળાઓમાં રજા જાહેર, 400 રાહત શિબિર ચાલુ કરાઇ
તીવ્ર ચક્રવાત ‘મોન્થા’ આજે (28 ઑક્ટોબરે) આંધ્રપ્રદેશના કાંઠે ટકરાશે. સુરક્ષાના પગલાં રૂૂપે દક્ષિણ મધ્ય રેલવેએ 54 ટ્રેન રદ કરી છે અને ફ્લાઇટ્સ ડાયવર્ટ થઈ છે. આંધ્ર અને તમિલનાડુમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રખાઈ છે. NDRFની મદદથી 10,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરીને 400 રાહત શિબિરો સક્રિય કરવામાં આવી છે.
દક્ષિણ મધ્ય રેલવે દ્વારા 54 ટ્રેન રદ કરવામાં આવી છે. તેમજ ઈન્ડિગો એરલાઈન્સની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરાઈ છે. જેમાં વિઝાગ, વિજયવાડા, રાજમુંદરી માટે એડવાઈઝરી અપાઈ છે. આ ઉપરાંત તમિલનાડુના ચેંગલપટ્ટુ, કડલૂરમાં શૈક્ષણિક સંસ્થા બંધ કરી દેવાઈ છે તથા આંધ્રપ્રદેશમાં 400 રાહત શિબિર બનાવવામાં આવી છે.
આજે, 28 ઓક્ટોબરના રોજ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે તીવ્ર ચક્રવાત ‘મોન્થા’ ટકરાવાની શક્યતા છે, જેના કારણે પૂર્વીય અને દક્ષિણી ભારતમાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વાવાઝોડાની સીધી અસર પરિવહન વ્યવસ્થા પર પડી છે, જ્યારે રાજ્ય સરકારોએ શિક્ષણ સંસ્થાઓમાં રજા જાહેર કરીને રાહત શિબિરો સક્રિય કરી દીધી છે.
દક્ષિણ મધ્ય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 54 જેટલી ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. આ ટ્રેનો વિજયવાડા, ભીમાવરમ, રાજમુંદરી, વિશાખાપટ્ટનમ અને સિકંદરાબાદ જેવા મુખ્ય રૂૂટ પરની છે, જે 28 અને 29 ઓક્ટોબર માટે રદ કરાઈ છે.
ઇન્ડિગો એરલાઇન્સ અને એર ઇન્ડિયા એક્સપ્રેસે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. વિઝાગ (વિશાખાપટ્ટનમ), વિજયવાડા અને રાજમુંદરી એરપોર્ટ પર ભારે પવન અને વરસાદની આગાહીને કારણે અનેક ફ્લાઇટ્સ રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. વિજયવાડા એરપોર્ટે મંગળવાર માટેની બહુવિધ ફ્લાઇટ કામગીરી સસ્પેન્ડ કરી દીધી છે. આંધ્રપ્રદેશ સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં રાત્રિ રોકાણ કરતી બસ સેવાઓ અને લાંબા અંતરની સેવાઓ રદ કરવા સૂચના આપી છે.
તમિલનાડુના ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કડલૂર જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં 28 ઓક્ટોબરના રોજ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આંધ્રપ્રદેશના કાકીનાડા, કોનાસીમા, પૂર્વ અને પશ્ચિમ ગોદાવરી સહિત નવ જેટલા જિલ્લાઓમાં પણ શાળાઓ બંધ રાખવાના આદેશ અપાયા છે. આંધ્રપ્રદેશમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી 10,000 થી વધુ લોકોનું સ્થળાંતર કરવા માટે 400 થી વધુ રાહત શિબિર બનાવવામાં આવી છે.