For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભ્રષ્ટાચાર એટલો ચરમસીમાએ છે કે પ્રમાણિકને મૂર્ખ ગણવામાં આવે છે : CBI કોર્ટ

05:03 PM Mar 05, 2024 IST | admin
ભ્રષ્ટાચાર એટલો ચરમસીમાએ છે કે પ્રમાણિકને મૂર્ખ ગણવામાં આવે છે   cbi કોર્ટ

દેશમાં ભ્રષ્ટાચારને રોકવા માટે અનેક રસ્તા અપનાવાઈ રહ્યા હોવા છતાં કરપ્શનનો જાણે કોઈ અંત નથી તેવું લાગે છે. સ્વયં CBIકોર્ટે કહેવું પડ્યું છે કે આજે ભ્રષ્ટાચાર એટલો ફૂલ્યો ફાલ્યો છે કે ઈમાનદાર વ્યક્તિને આપણો સમાજ બેવકૂફ સમજે છે. આવી ટિપ્પણી કરીને અમદાવાદ સ્થિત CBIકોર્ટે કરપ્શનના એક કેસમાં ઈન્કમટેક્સના બે રિટાયર્ડ અધિકારીઓને ત્રણ વર્ષની જેલની સજા સુનાવી હતી.

Advertisement

CBIકોર્ટે કહ્યું હતું કે દેશમાં ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે કોઈ વ્યક્તિ પ્રામાણિકતાથી કામ કરે તો આધુનિક સમાજ તેને મૂર્ખ ગણે છે. આ કેસમાં મહેશ સોમપુરા અને મુકેશ રાવલ નામના બે ઈન્કમટેક્સ ઓફિસર અમદાવાદમાં પોસ્ટિંગ ધરાવતા હતા. ઓગસ્ટ 2011માં તેમને એક ટેક્સ સ્ક્રૂટિની કેસમાં સેટલમેન્ટ માટે લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા. આ અધિકારીઓએ 1.75 લાખ રૂપિયાની લાંચ માગી હતી અને પછી 50,000 રૂપિયા સ્વીકારતી વખતે પકડી લેવાયા હતા. તેમની સામે ભ્રષ્ટાચાર વિરોધી ધારા હેઠળ કાર્યવાહી થઈ હતી.

હવે આ બંને અધિકારીઓ નિવૃત્ત છે પરંતુ તેમનો કેસ હજુ ચાલતો હતો. સ્પેશિયલ CBIજજે બંને અધિકારીઓને દોષિત ગણાવીને તેમને ત્રણ વર્ષની સજા તથા 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે એમ પણ કહ્યું કે કરપ્શન કરનારા અધિકારીઓની ઉંમર વધારે છે તે કારણથી તેમને સજામાં રાહત આપી શકાય નહીં.

Advertisement

બંને ઈન્કમટેક્સ અધિકારીઓએ પોતાની ઉંમરનું કારણ આપીને સજામાં રાહત આપવા માંગણી કરી હતી. પરંતુ કોર્ટે કહ્યું કે આવા ગંભીર ગુનામાં ગુનેગારોને આકરી સજા કરવામાં નહીં આવે તો ન્યાયનું અપમાન કર્યું ગણાશે. આરોપીઓને હળવી સજા કરવામાં આવશે તો લોકો દેશની ન્યાય સિસ્ટમને શંકાની નજરે જોવા લાગશે. સામાન્ય લોકોને અદાલતો પરથી ભરોસો ઉઠી જશે. આવા કેસમાં સુધારાની વાતો કરવાના બદલે સજા કરવામાં આવે તે વધુ યોગ્ય છે. તેથી આરોપી પ્રત્યે સહાનુભૂતિ રાખીને હળવી સજા કરવામાં આવશે તો જસ્ટિસ સિસ્ટમને નુકસાન થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement