કોંગ્રેસે મમતાની ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ
લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ પૂરી તાકાતથી મચી પડ્યો છે ત્યારે ભાજપને હરાવવા માટે બનાવાયેલા ઈન્ડિયા મોરચામાં ઘમાસાણ મચ્યું છે. ભાજપને હરાવવા માટે વિપક્ષોને એક કરીને ઈન્ડિયા મોરચા બનાવવાની પહેલ કરનારા નીતીશ કુમાર જ ભાજપની પંગતમાં બેસી ગયા છે ત્યારે બીજી તરફ ભાજપને હરાવવા માટે વિપક્ષોને એક કરવાની સતત તરફેણ કરતાં મમતા બેનરજી પણ કોંગ્રેસ પર ભડકેલાં છે. મમતાએ પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લડવાની જાહેરાત કરી એ પછી હવે સીધો કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે કે, કોંગ્રેસને આટલો બધો અહંકાર કેમ છે એ જ મને સમજાતું નથી. મમતાએ તો ત્યાં સુધી કહ્યું છે કે, મને નથી લાગતું કે કોંગ્રેસ 300 બેઠકો પર લડવા માગે છે પણ આ 300માંથી 40 બેઠકો પણ જીતી શકશે. કોંગ્રેસ પાર્ટી જ્યાં પહેલાં જીતતી હતી, હવે ત્યાં પણ હારી રહી છે એ જોતાં કોંગ્રેસ કશું કરી શકશે નહીં. સૌથી મોટી વાત એ છે કે, મમતાએ કોંગ્રેસને સીધો પડકાર ફેંક્યો છે કે, ભાજપ વિરોધી પક્ષો સામે શિંગડાં ભેરવવાના બદલે તાકાત હોય તો કોંગ્રેસ ભાજપને ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં હરાવી બતાવે. કોંગ્રેસમાં હિંમત હોય તો બનારસ અને પ્રયાગરાજમાં ભાજપને હરાવીને બતાવે. ભાજપને હરાવવા માટે બનાવાયેલા ઈન્ડિયાથ મોરચામાં કોંગ્રેસ અને મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ બંને સભ્ય છે પણ પશ્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણીના મુદ્દે ડખા પડતાં ભડકેલાં મમતાએ પહેલાં જ એલાન કરી દીધું છે કે, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે કેમ કે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં બેઠકોની વહેંચણી અંગેના મારા પ્રસ્તાવને ફગાવી દીધો છે. કોંગ્રેસ કે તૃણમૂલ કોંગ્રેસે મમતાની દરખાસ્ત શું હતી એ વિશે ફોડ પાડ્યો નથી પણ એવું કહેવાય છે કે, કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે બંગાળની 42 બેઠકોમાંથી 10થી 12 બેઠકોની માગ કરી રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસ માત્ર બે સીટો આપવા માગે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીતી હતી એ સિવાય ત્રીજી બેઠક આપવાની કોંગ્રેસની તૈયારી નથી. તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ ઉપરાંત બંગાળમાં ડાબેરી પક્ષો પણ ભાજપને હરાવવા માટે બનાવાયેલાઈન્ડિયાથ મોરચાનો હિસ્સો છે પણ મમતા તેમને કશું આપવા તૈયાર નથી. મમતાએ કોંગ્રેસને પહેલાં જ આડે હાથ લીધેલો ને હવે સીધો પડકાર ફેંક્યો છે તેથી પશ્ચિમ બંગાળમાં તો જોડાણ તૂટી ગયું છે એ નક્કી છે.
મમતાની વાતથી કોંગ્રેસીઓને મરચાં લાગ્યાં છે પણ મમતાની વાત સાચી છે. કોંગ્રેસ સાવ પતી ગયેલી પાર્ટી છે ને છતાં તેને શાનો અહંકાર છે એ જ ખબર પડતી નથી. છેલ્લી બે ચૂંટણીમાં માંડ 50 બેઠકોની આસપાસ જીતનારી કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ પાસે 25 બેઠકો માગે કે મમતા બેનરજી પાસે 15 બેઠકો માગે એ મૂર્ખામીની પરાકાષ્ઠા છે. કોંગ્રેસ હજુય જૂના દિવસોના ભ્રમમાં જીવે છે ને વાસ્તવિકતા સાથે તેને કોઈ સંબંધ જ રહ્યો નથી તેનો આ પુરાવો છે.કોંગ્રેસ 40 બેઠકો પણ નહીં જીતી શકે એવી મમતાની આગાહી કેટલી સાચી પડશે એ ખબર નથી પણ કોંગ્રેસમાં દમ હોય તો મમતાની ચેલેન્જ ઉપાડી લેવી જોઈએ. ઉત્તર પ્રદેશમાં તો કોંગ્રેસ ભાજપને હરાવી શકે એવી તેની તાકાત જ નથી પણ કમ સે કમ જે રાજ્યોમાં તેની ભાજપ સાથે સીધી ટક્કર છે અને પોતે જે રાજ્યોમાં મુખ્ય વિપક્ષ છે એ રાજ્યોમાંથી અડધાં રાજ્યોમાં ભાજપને હરાવી બતાવે તો પણ ભાજપને સત્તાથી દૂર કરી શકે પણ કોંગ્રેસમાં એ દમ જ નથી.
કોંગ્રેસીઓએ એક વાસ્તવિકતા સ્વીકારવાની જરૂૂર છે કે, ભાજપ કોંગ્રેસના ભોગે તાકાતવર બન્યો છે કેમ કે ભાજપ સામે લડવામાં કોંગ્રેસ સૌથી નબળી સાબિત થઈ છે. કોંગ્રેસે આ સ્થિતિ બદલવી પડે ને તો જ ભાજપ હારે, ભાજપ સામે લડનારા પ્રાદેશિક પક્ષોને દબાવવાથી કંઈ ના થાય.
લોકસભાની ચૂંટણીમાં ગુજરાત (25), મધ્ય પ્રદેશ (28), રાજસ્થાન (26), છત્તીસગઢ (13), કર્ણાટક (28), હિમાચલ પ્રદેશ (4), ઝારખંડ (14), હરિયાણા (10), ઉત્તરાખંડ (5), આસામ (14) વગેરે રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર છે. આ રાજ્યોમાં લોકસભાની 167 બેઠકો છે. લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં આ રાજ્યોમાં ભાજપ ક્લીન સ્વીપ કરીને મોટા ભાગની બેઠકો જીતી ગયો છે. આ રાજ્યો પૈકી ગુજરાત, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાનમાં તો છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતુ જ ખૂલ્યું નથી. બીજે પણ સમ ખાવા પૂરતી એકાદ બેઠક મળી છે.