નીતિશનું કદ વેતરાય, ભાજપને ફાયદો થાય તે રીતે ચિરાગ રમત રમી રહ્યા છે
બિહારમાં વિધાનસભાની ચૂંટણી આડે ગણીને મહિના બચ્યા છે ત્યારે જ કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને દાવ કરી નાખ્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (એલજેપી-રામવિલાસ)ના મુખિયા ચિરાગ પાસવાને એલાન કર્યું છે કે, બિહાર વિધાનસભાની તમામ 243 બેઠક પર પોતાની પાર્ટી ઉમેદવાર ઊભા રાખશે. બિહારની રાજધાની પટણામાં રવિવારે નવ સંકલ્પ મહાસભાને સંબોધન કરતાં ચિરાગે એલાન કર્યું કે, બિહારના હિતમાં પોતે બધી બેઠકો પર ઉમેદવારો ઊભા રાખશે. બિહારમાં હમણાં મગધ હોસ્પિટલના માલિક ગોપાલ ખેમકાની હત્યાનો મુદ્દો ગાજી રહ્યો છે. ચિરાગે આ મુદ્દે પોતાની જ સરકારની ઝાટકણી પણ કાઢી.બિહારમાં અત્યારે એનડીએની સરકાર છે કે જેમાં ભાજપ અને જેડીયુ સિવાય ચિરાગની એલજેપી, જીતનરામ માંઝીની હમ સહિતના પક્ષો ભાગીદાર છે.
આ બધા પક્ષો એક થઈને ચૂંટણી લડશે એવું સૌએ માની લીધેલું ત્યાં જ ચિરાગે ધડાકો કરી દીધો. ચિરાગના ધડાકાથી ભાજપ અને જેડીયુ ચિંતામાં પડી ગયા છે એવા દાવા થઈ રહ્યા છે પણ વાસ્તવમાં ચિરાગની જાહેરાત પાછળ ભાજપ હોવાની પૂરી શક્યતા છે.ચિરાગ પાસવાન ભાજપના લાભાર્થે આ પ્રકારનાં નાટકો કરવા માટે જાણીતા છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણી આવે ત્યારે વધારે બેઠકો માગવા માટે માથું ઊંચકવાનો દાવ બધા રાજકીય પક્ષો અજમાવતા હોય છે. ચિરાગ પણ એ જ નાટકો કરી રહ્યો છે એવું ઘણાંને લાગે છે પણ ચિરાગનો ઈરાદો વધારે બેઠકો મેળવવાનો નહીં પણ નીતીશને કરદ પ્રમાણે વેતરવામાં ભાજપની મદદ કરવાનો છે.ચિરાગે બહુ પહેલાંથી નીતીશ કુમાર સામે મોરચો માંડી દીધેલો તેથી નીતીશ વિરોધી નિવેદનો કર્યા કરતા હતા. ચૂંટણીના લગભગ મહિના પહેલાં જ રામવિલાસ પાસવાનની હાજરીમાં લોક જનશક્તિ પાર્ટી (એલજેપી)એ નીતિશ કુમારની જનતા દળ યુનાઈટેડ (જેડીયુ) સામે લડવાનું એલાન કરેલું.
ચિરાગે એ વખતે કહેલું કે, પોતાને ભાજપ સામે વાંધો નથી અને પોતે નરેન્દ્ર મોદીના હનુમાન છે પણ નીતીશ કુમારના કુશાસનને ફગાવી દેવા માગે છે તેથી નીતીશની સામે ચૂંટણી લડશે.આ જાહેરાતના ત્રણ દિવસમાં જ રામવિલાસ પાસવાનનું નિધન થતાં બિહારની ચૂંટણીનાં સમીકરણ બદલાઈ જશે ને ચિરાગ પાસવાનને પિતાના મોતની સહાનુભૂતિનો લાભ મળશે એવી વાતો ચાલી હતી. ચિરાગ પણ આ વાતોમાં આવી ગયેલો તેથી મચક ના આપી અને ધરાર ચૂંટણી લડ્યો તેમાં એલજેપી સાવ ધોવાઈ ગયેલી. એલજેપીને 2020ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક નહોતી મળી. એ વખતે નીતીશની જેડીયુને માત્ર 43 બેઠકો મળેલી તેથી ચિરાગે નીતીશનો ખેલ બગાડયો એવી વાતો કરીને ચિરાગના સમર્થકોએ સંતોષ માનવો પડેલો પણ આ સંતોષ વાંઝિયો હતો.