RBI ના નિયમોમાં ફેરફાર: કાલથી લોન લેવી સરળ બનશે, EMIઘટશે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI )એ સામાન્ય લોકોને રાહત આપવા માટે લોન સંબંધિત અનેક મોટા ફેરફારોની જાહેરાત કરી છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ લોનને વધુ સરળ બનાવવા તેમજ મોટી રકમની લોન સંબંધિત નિયમો હળવા કરવાની જાહેરાત કરી છે. આ નવા સુધારા સાથે જોડાયેલા ત્રણ નિયમ 1 ઓક્ટોબરથી લાગુ થશે. જ્યારે અન્ય ચાર નિયમો પર વિચારણા ચાલી રહી છે.
જો તમે ફ્લોટિંગ રેટ પર લોન લઈ રહ્યા હોવ તો બેન્ક તમારા EMIના ત્રણ વર્ષના લોક-ઈન પીરિયડ પહેલાં પણ ઘટાડો કરી શકશે. જેનો સીધો લાભ લોનધારકોને થશે અને EMIમાં ઘટાડો થશે. વધુમાં ફિક્સ્ડ રેટ પર લોનને ફ્લોટિંગ રેટમાં સ્વિચ કરવાનો વિકલ્પ મળશે. જો કે, આ સુવિધા ફરિજ્યાત નહીં રહે, બેન્ક ઈચ્છે તો આ સુવિધા આપી શકશે. જેનાથી લોનધારકોની અનુકૂળતામાં વધારો થશે. તેમજ સમય મુજબ યોગ્ય વ્યાજદર પસંદ કરવુ સરળ બનશે.
જો તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે સારા સમાચાર છે, હવે માત્ર જ્વેલર્સ જ નહીં, પણ તમામ લોકો કે જેઓ ગોલ્ડનો કાચા માલ તરીકે ઉપયોગ કરી રહ્યા હોવ, જેમ કે કારોબારી, કારીગર વગરે પણ ગોલ્ડની અવેજમાં બેન્ક પાસેથી લોન લઈ શકશે. જેનાથી નાના ઉદ્યોગો માટે કાર્યકારી મૂડી એકત્રિત કરવુ સરળ બનશે.
તદુપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે, ગોલ્ડ મેટલ લોનની પુન:ચૂકવણી સમય મર્યાદા 180 દિવસથી વધારી 270 દિવસ કરવામાં આવી છે. સાથે હવે નોન-પ્રોડ્યુસર જ્વેલરી વેપારી પણ જીએમએલનો ઉપયોગ કરી આઉટસોર્સિંગ કરી શકશે. આ ફેરફાર એમએસએમઈ અને જ્વેલરી સેક્ટર માટે લાભદાયી સાબિત થશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્કો માટે ઑફશોર માર્કેટ મારફત ફંડ એકત્ર કરવાનો માર્ગ મોકળો કર્યો છે. હવે બેન્ક ફોરેક્સ માર્કેટ તથા રૂૂપિયામાં બોન્ડ જાહેર કરી વધુ ફંડ એકત્ર કરી શકશે. તેનાથી બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે અને તેઓ વધુ લોન ફાળવી શકશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભારતમાં કામ કરી રહેલી વિદેશી બેન્કની શાખાઓ માટે પણ નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. હવે તે મોટી લોન એક્સપોઝર અને ઈન્ટર-ગ્રૂપ ટ્રાન્ઝેક્શન્સ પર નવા નિયમો લાગુ કરશે. જેનાથી જોખમ ઘટાડવામાં મદદ મળશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ભલામણ કરી છે કે, હવે બેન્ક અને નાણાકીય સંસ્થાઓ દર સપ્તાહે ક્રેડિટ બ્યૂરોને ડેટા મોકલશે, પહેલાં તે પાક્ષિક (બે અઠવાડિયામાં એક વાર) મોકલવામાં આવતો હતો. જેનાથી ક્રેડિટ રિપોર્ટમાં થતી ભૂલો ઘટશે અને સમય રહેતાં તેમાં સુધારો થઈ શકશે. વધુમાં રિપોર્ટમાં હવે સીકેવાયસી નંબર પણ સામેલ કરાશે. જેનાથી ઓળખની પ્રક્રિયા વધુ સરળ બનશે.