IRCTCમાં ફેરફાર, સવારના 8 થી 10 આધાર વગર બુક નહીં થાય રેલવે ટિકિટ
ભારતીય રેલવેએ IRCTC વેબસાઇટ અને મોબાઈલ એપ મારફતે ટિકિટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે કેટલાક ખાસ યુઝર્સ માટે ટિકિટ બુક કરવા આધાર કાર્ડ ફરજિયાત રહેશે. રેલવેએ જાહેર કર્યું છે કે હવે સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ટ્રેન ટિકિટ બુક કરવા માટે આધાર જરૂૂરી રહેશે.
આ નિર્ણયનો હેતુ એ છે કે, ટિકિટ બુકિંગમાં થતી છેતરપિંડી અટકાવવી અને ભારે માગવાળા સમયમાં ટિકિટ સાચા મુસાફરો સુધી પહોંચાડવી. આ બે કલાક એવો સમય હોય છે જ્યારે લોકપ્રિય ટ્રેનોમાં સીટ માટે ભારે માગ રહે છે. ઘણા લોકો ઘણા અકાઉન્ટ બનાવી કે ઓટોમેટેડ સોફ્ટવેરથી ટિકિટ બુકિંગમાં ગડબડ કરતા હતા. આને રોકવા માટે IRCTCએ આ સમયગાળો માત્ર આધાર-વેરિફાઈડ યુઝર્સ માટે રાખ્યો છે. જે લોકોનું આધાર લિંક નથી, તેઓ સવારના 8 થી 10 સિવાયના સમયમાં ટિકિટ બુક કરી શકશે. આ નવો નિયમ 28 ઓક્ટોબરથી અમલમાં આવ્યો છે.
આ પહેલાં પણ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ માટે આધાર ફરજિયાત બનાવ્યું હતું. 1 જુલાઈ 2025થી તત્કાલ ટિકિટ માટે આધાર જરૂૂરી છે અને 15 જુલાઈ 2025થી ઑનલાઇન, એજન્ટ કે PRS કાઉન્ટર - તમામ માધ્યમમાં OTP આધારિત આધાર વેરિફિકેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.