ચંડીગઢ મેયરની મતગણતરી સુપ્રીમમાં: મધર ઓફ ડેમોક્રેસી માટે શરમ
ચંડીગઢ મેયર ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે નવો ઈતિહાસ રચી દીધો. મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની આગેવાનીવાળી ત્રણ જજોની પીઠે જુના ચૂંટણી પરિણામને રદ કરી દીધા, જે બાદ કોર્ટમાં ફરીથી વોટની ગણતરી થઈ અને પરિણામ જાહેર કર્યા. તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમાર વિજયી જાહેર થયા અને તેઓ ચંડીગઢના નવા મેયર બન્યા.
સુપ્રીમ કોર્ટે ચંડીગઢ મેયર ચૂંટણીના પરિણામ પલટતા આમ આદમી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનના હારેલા ઉમેદવાર કુલદીપ કુમારને શહેરના નવા મેયર જાહેર કર્યા છે. કોર્ટે 30 જાન્યુઆરીના ચૂંટણી પરિણામના સંચાલનમાં ગંભીર ખામીઓ આવ્યા બાદ રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ, જે ભાજપના નેતા છે, તેમના વિરુદ્ધ કદાચાર માટે કેસ ચલાવવાનો આદેશ પણ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે, તેઓ આખી ચૂંટણી પ્રક્રિયાને રદ નથી કરતા અને ખુદને મતગણતરીની પ્રક્રિયામાં ખોટા કાર્યાથી નિવારણ સુધી જ મર્યાદિત રાખે છે. જેના કારણે કુમારના પક્ષમાં પડેલા આઠ મત અમાન્ય થઈ ગયા. મુખ્ય ન્યાયાધીશ ડી વાઈ ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પીઠે કહ્યું કે, આ સ્પષ્ટ છે કે, મસીહે જાણી જોઈએને આઠ મતપત્રો રદ કરવાનો પ્રયાસ કર્યો.
ભારતીય જનતા પાર્ટીએ 30 જાન્યુઆરીના રોજ ચંડીગઢ મેયર ચૂંટણીમાં કોંગ્રેસ-આપ ગઠબંધન વિરુદ્ધ જીત પ્રાપ્ત કરી હતી. મેયર પદ માટે ભાજપના મનોજ સોનકરે આપના કુલદીપ કુમારને હરાવ્યા હતા. સોનકરે પોતાના હરીફને 12 મતની સામે 16 મત મળ્યા હતા. સોનકરે રવિવારે મેયર પદેથી રાજીનામું પણ આપી દીધું હતું.
સુપ્રિમ કોર્ટનો ચુકાદો અભૂતપુર્વ હોવા સાથે ભાજપ માટે સબક છે. ચંડીગઢ જેવા નાના શહેરનું મેયર પદ કબજે કરવા રિટર્નિંગ અધિકારીને હાથો બનાવાય તે મધર ઓફ ડેમોક્રેસીના ગુણગાન ગાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વ્યકિતગત રીતે અને ભાજપ જેવા મોટા પક્ષને શોભતું નથી. દિલ્હીમાં ગત વર્ષે એમસીડીની ચુંટણીમાં આપને બહુમતી મળ્યા પછી તેના મેયર ન ચુંટાવા દેવા ભાજપએ છેક સુધી ધમપછાડા કર્યા હતા. એ પછી તે લોકચુકાદાનું માન રાખે તે અપેક્ષિત છે.