ચરણસિંહ અને નરસિંહરાવ બંને વિવાદાસ્પદ રાજકારણી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર હમણાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નની લહાણી કરવામાં પડી છે. પહેલાં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્ન અપાયો ને પછી ભાજપની હાલની જાહોજલાલીના પ્રણેતા લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન આપી દેવાયો. મોદી સરકારે આ લહાણી ચાલુ રાખીને શુક્રવારે વધુ ત્રણ મહાનુભાવોને ભારતરત્ન આપી દીધો. ભૂતપૂર્વ વડા પ્રધાનો ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવ ઉપરાંત ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા એમ.એસ. સ્વામીનાથનને ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત મોદી સરકારે કરી નાંખી. આ ત્રણેય મહાનુભાવો પૈકી સ્વામીનાથન ભારતરત્ન માટે સૌથી વધારે લાયક છે તેમાં બેમત નથી. નરસિંહરાવ અને ચરણસિંહ પણ દિગ્ગજ નેતા છે તેમાં શંકા નથી પણ તેમને ભારતરત્ન આપવા પાછળ રાજકીય ગણતરીઓ છે. મોદીએ કોંગ્રેસ નહેરુ-ગાંધી ખાનદાનને મહાન યોગદાન આપનારા નેતાઓને અવગણ્યા એવા આક્ષેપો સતત કરે છે ને એ વાત સાબિત કરવા પણ મથ્યા કરે છે. તેના ભાગરૂૂપે મોદી સરકારે પહેલાં પ્રણવ મુખર્જીને ભારતરત્ન આપેલો. ભૂતપૂર્વ વડા પ્રધાનો ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવને ભારતરત્ન આપવા પાછળ પણ મોદી સરકારની કોંગ્રેસને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની ગણતરી છે જ ને તેમાં કશું ખોટું નથી. કોંગ્રેસે નહેરુ-ગાંધી ખાનદાન સિવાયના નેતાઓની અવગણના કરી જ છે એ જોતાં મોદી કે બીજું કોઈપણ કોંગ્રેસની આ હલકટાઈની વાત કરે તેમાં કશું ખોટું નથી. ચૌધરી ચરણસિંહ અને પી.વી. નરસિંહરાવને ભારતરત્ન આપવા પાછળ મોદી સરકારની બીજી પણ રાજકીય ગણતરી છે. લોકસભા ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં ભાજપને ફાયદો થાય એ માટે નરસિંહરાવને ભારતરત્ન અપાયો છે જ્યારે ચૌધરી ચરણસિંહની પસંદગી ઉત્તર પ્રદેશમાં ચરણસિંહના પૌત્ર જ્યંત ચૌધરીની રાષ્ટ્રીય લોકદળને ભાજપ તરફ ખેંચવા કરાઈ છે. મોદીનો આ દાવ સફળ પણ થયો છે કેમ કે ચરણસિંહને ભારતરત્ન આપવાની જાહેરાત થતાં જ ગદગદ થઈ ગયેલા જયંત ચૌધરી ભાજપના પગમાં આળોટી ગયા છે અને અખિલેશ યાદવને કોરાણે મૂકીને લોકસભાની ચૂંટણીમાં ભાજપ સાથે જોડાણ કરવા તૈયાર થઈ ગયા છે. જયંત ચૌધરીનો પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશના જાટ મતદારો પર પ્રભાવ છે તેથી લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળશે. નરસિંહરાવ અને ચૌધરી ચરણસિંહ બંને વડા પ્રધાન તરીકેના પોતપોતાના કાર્યકાળમાં વિવાદાસ્પદ પણ રહ્યા ને બંને જે પ્રકારનું રાજકારણ રમ્યા તેમાંથી પ્રેરણા લેવા જેવી તો બિલકુલ જ નથી છતાં તેમને ભારતરત્ન અપાય તેની સામે વાંધો લઈ શકાય તેમ નથી.
બંનેએ દેશના રાજકારણમાં કમ સે કમ પોતાના નામે એક-એક પ્રકરણ એવું તો લખ્યું જ છે કે જેના કારણે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન માટે લાયક ગણવામાં વાંધો ના આવે. આ બંને પૈકી પણ નરસિંહરાવનું યોગદાન તો બહુ મોટું છે.