બોઇંગ 787 કાફલાને ક્લિનચિટ પણ વિમાન સુરક્ષા મામલે DGCAની ટકોર
અમદાવાદમાં લંડન જતી ફ્લાઇટ AI 171ના ક્રેશ થયા બાદ, દેશની ઉડ્ડયન નિયમનકારી સંસ્થા DGCA (નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય) એ તાત્કાલિક કાર્યવાહી કરી અને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના ટોચના મેનેજમેન્ટ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં, DGCA એ એર ઈન્ડિયાના ઈઊઘ કેમ્પબેલ વિલ્સન સાથે સીધી વાત કરી અને કંપનીના સંચાલનને લગતા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવા નિર્દેશ કર્યો. જો કે ઉડયન નિયામકે બોઇંગ 787 કાફલા પર હાથ ધરાયેલી તપાસમાં ચિંતા ન હોવાનું જણાવી કિલનચિટ આપી છે.
DGCAએ એર ઈન્ડિયાને વિમાન સલામતી અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું છે. નિયમનકારે કહ્યું કે, કોઈપણ ટેક્નિકલ ખામીને અવગણી ન શકાય અને દરેક વિમાને ઉડાન ભરતા પહેલા કડક સલામતી ધોરણોનું પાલન કરવું જોઈએ. ફ્લાઇટ કામગીરીને વધુ શિસ્તબદ્ધ બનાવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. DGCAએ કહ્યું કે, એરલાઇનની વિશ્વસનીયતા અને મુસાફરોના વિશ્વાસ માટે સમયસર ફ્લાઇટ્સનું સંચાલન કરવું જરૂૂરી છે.
ફ્લાઇટ મોડી પડવા અને રદ થવાના કિસ્સામાં મુસાફરોને થતી અસુવિધાને ગંભીરતાથી લેવામાં આવી છે. નિયમનકારે એર ઈન્ડિયાને આવી પરિસ્થિતિમાં મુસાફરોને સ્પષ્ટ માહિતી અને સહાય પૂરી પાડવા જણાવ્યું છે. DGCAએ એર ઈન્ડિયાને ક્રાઇસિસ કોમ્યુનિકેશન (સંકટ સંવાદ) પ્રણાલીને વધુ પ્રભાવશાળી બનાવવાની વાત કહી છે. એટલે કે, કોઈપણ ઈમરજન્સી અથવા વિલંબની સ્થિતિમાં મુસાફરોને તુરંત સૂચના અને સહયોગ પૂરી પાડવાનું ફરજિયાત બનાવવું જોઈએ.
આ ખાસ બેઠકમાં એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસના વરિષ્ઠ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. DGCAએ સ્પષ્ટતા કરી હતી કે, AI 171 ફ્લાઇટ અકસ્માત પછી, મુસાફરોની સલામતી સૌથી મોટી પ્રાથમિકતા છે. કોઈપણ ફ્લાઇટ પહેલાં તમામ ટેક્નિકલ પરીક્ષણો સમયસર અને પ્રામાણિક રીતે કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ.
DGCAએ જણાવ્યું હતું કે, ફ્લાઇટમાં વિલંબ અથવા ટેક્નિકલ ખામીના કિસ્સામાં, એરલાઇન દ્વારા મુસાફરોને પૂરી પાડવામાં આવતી માહિતી, સુવિધાઓ અને સેવાના ધોરણોમાં સુધારો કરવો જોઈએ.