બ્લેક વિરુધ્ધ શ્વેતપત્ર: બીજાની લીટી નાની કરી પોતાની મોટી બતાવવાનો ખેલ
લોકસભાની ચૂંટણી આવતાં જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી ચરમસીમા પર પહોંચી છે. તેના ભાગરૂૂપે ભાજપે વ્હાઈટ પેપર તો કોંગ્રેસે બ્લેક પેપર રજૂ કરી દીધાં. લોકશાહીમાં સત્તાધારી અને વિપક્ષ એકબીજા પર આક્ષેપો કરે તેમાં કશું ખોટું નથી પણ અત્યારે જે રીતની આક્ષેપબાજી ચાલી રહી છે એ જોઈને આઘાત લાગે છે. કોંગ્રેસ અને ભાજપ બંને દેશના મુખ્ય રાજકીય પક્ષો છે પણ કમનસીબે બંને ભૂતકાળની વાતોમાંથી બહાર નથી આવી રહ્યા. બંને બીજાની લીટી નાની કરીને પોતાની લીટી મોટી બતાવવામાં પડ્યા છે. ભાજપ સત્તાધારી પક્ષ તરીકે 2023માં ભારત કેવું હશે ને 2047માં ભારત વિશ્ર્વમાં સૌથી મોટું અર્થતંત્ર હશે એવી લાંબા ગાળાની વાતો ક્યારેક ક્યારેક કરી લે છે પણ એ સિવાય એ પણ ભૂતકાળની વાતોમા જ રચ્યોપચ્યો રહે છે. જવાહરલાલ નહેરુએ આ કર્યું ને પેલું કર્યું ને નહેરુ-ગાંધી ખાનદાને ઢીંકણું કર્યું ને પૂછંડું કર્યું એવી ભાજપની વાતોનો પાર જ નથી આવતો. સામે કોંગ્રેસ પણ એ જ પ્રકારની વાતો કર્યા કરે છે. દેશ સામે અનેક સમસ્યાઓ છે ને એ બધી હાલની છે પણ તેના ઉકેલની વાત કરવામાં ના ભાજપને રસ છે કે ના કોંગ્રેસને રસ છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં વ્હાઈટ પેપર (શ્ર્વેતપત્ર) રજૂ કર્યું કે તેમાં યુપીએના દસ વર્ષના શાસનની વાતો છે. આ શ્ર્વેતપત્રમાં ડો. મનમોહન સિંહના શાસનકાળ દરમિયાન અર્થતંત્ર સાવ ખાડે ગયું એવો આક્ષેપ કરાયો છે. નિર્મલા સીતારામને રજૂ કરેલા 59 પાનાના શ્ર્વેતપત્રમાં 2014 પહેલાં અને પછીની ભારતની આર્થિક સ્થિતિ માહિતી આપવામાં આવી છે અને આક્ષેપ કરાયો છે કે, યુપીએ સરકારના 10 વર્ષના શાસનમાં ભારતીય અર્થતંત્રનું નખ્ખોદ વળી ગયું અને દેશના અર્થતંત્રના ગેરવહીવટના કારણે દેશે બહુ જંગી પ્રમાણમાં નુકસાન સહન કરવું પડ્યું. શ્ર્વેતપત્રમાં કોંગ્રેસના શાસનમાં થયેલાં કોલસા કૌભાંડ, ટેલીકોમ કૌભાંડ વગેરેની પણ યાદ અપાવાઈ છે. શ્ર્વેતપત્રમાં એવો ઉલ્લેખ છે કે, 2014માં કોલસા કૌભાંડે દેશના અંતરાત્માને હચમચાવી દીધો હતો. 2014 પહેલા, કોલસાના બ્લોકની ફાળવણી પારદર્શક પ્રક્રિયાને અનુસર્યા વિના મનસ્વી ધોરણે કરવામાં આવતી હતી અને તેના કારણે દેશને અબજો રૂૂપિયાનું નુકસાન થયું.
આ બધાં કૌભાંડ બહુ ગાજેલાં છે તેથી તેમની ચોવટ કરતા નથી પણ સવાલ એ છે કે, દસ વર્ષમાં ભાજપ સરકારે કોલસા કૌભાંડ, ટેલીકોમ કૌભાંડ, કોમનવેલ્ત ગેમ્સ કૌભાંડ કરનારાંને તેમનાં કરમોની સજા અપાવવા શું કર્યું? આપણે બીજાં કૌભાંડોની વાત કરતા નથી પણ આ ત્રણ મોટાં કૌભાંડમાં જ દસ વર્ષમાં કેટલાં લોકોને દોષિત ઠેરવીને સજા કરવામાં આવી?
કોંગ્રેસે સામે મોદી સરકારના 10 વર્ષના શાસનકાળમાં લોકશાહીને ખતમ કરી નાંખવા માટે કરાયેલા ઉધામા અંગે શ્યામ પત્ર (બ્લેક પેપર) બહાર પાડ્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ બહાર પાડેલા બ્લેક પેપરમાં આક્ષેપ કરાયો છે કે, ભાજપે 10 વર્ષમાં 411 વિપક્ષી વિધાનસભ્યોને તોડીને લોકશાહીને ખતમ કરવાનું અભિયાન પૂરજોશમાં ચલાવ્યું છે. કોંગ્રેસે આ ઉપરાંત વિપક્ષ શાસિત રાજયો સાથે અન્યાય અને બેરોજગારી જેવા મુદ્દા પણ ઉઠાવ્યા છે. તેના આક્ષેપમાં તથ્ય હોય તો પણ તેમની અગાઉની સરકારોએ સંબંધીત કાયદામાં ખામી રહેવા દીધી એનું પરિણામ તે આજે ભોગવી રહ્યું છે.