લોન ધારકોને મોટી રાહત, RBIએ 56 મહિના બાદ રેપોરેટમાં 0.25 ટકાનો કર્યો ઘટાડો
દેશની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીએ વ્યાજ દરોમાં ઘટાડો કરીને દેશના કરોડો હોમ લોન ખરીદનારાઓને મોટી રાહત આપી છે. RBI MPCએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. જે બાદ રેપો રેટ 6.50 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયા છે.
આ પહેલા ફેબ્રુઆરી 2023થી રેપો રેટને 6.5% પર સ્થિર રાખવામાં આવ્યો છે જેમાં કોઈ ફેરફાર કરાયા નહોતા. છેલ્લે 2020માં કોરોના મહામારી વખતે રેપો રેટમાં ઘટાડો કરાયો હતો પણ તેના પછી ધીમે ધીમે તેને વધારીને 6.50% કરી દેવાયો હતો.
RBI MPCએ 56 મહિના પછી રેપો રેટમાં ઘટાડો કર્યો છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદ રેપો રેટ ઘટીને 6.25 ટકા થઈ ગયો છે. રેપો રેટમાં આ ઘટાડાથી સામાન્ય લોકોને મોટી રાહત થશે.
જો નિષ્ણાતોનું માનીએ તો દેશના લોકોની લોનની EMI ખાસ કરીને હોમ લોનની EMI ઓછી હશે. આ જ સપ્તાહમાં સામાન્ય લોકો માટે બીજી ભેટ હશે. થોડા દિવસો પહેલા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવકને ટેક્સમાંથી મુક્તિ આપી છે. હવે દેશના હોમ લોન ખરીદનારાઓને મોટી રાહત આપતા લોનની EMI ઓછી કરવામાં આવી છે. જો નિષ્ણાતોનું માનીએ તો બાકીની બેઠકોમાં લોન EMIમાં ઘટાડાનો ટ્રેન્ડ ચાલુ રહી શકે છે.
25 બેસિસ પોઈન્ટના ઘટાડા પછી EMI કેટલો થશે?
જો કોઈએ 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય અને લોન પર વ્યાજ 8.5 ટકા હોય અને મુદત 20 વર્ષ માટે હોય, તો EMI 17,356 રૂપિયા હશે, પરંતુ RBI દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટ અથવા 0.25 ટકાનો ઘટાડો કર્યા પછી, લોનનો વ્યાજ દર 8.25 ટકા થઈ જશે. તેના આધારે 20 લાખ રૂપિયાની લોન પર માસિક EMI તરીકે માત્ર 17,041 રૂપિયા ચૂકવવા પડશે. એટલે કે દર મહિને 315 રૂપિયાની બચત થશે.