ઈન્ટરનેટ ચાલુ થતાં જ ભડકે બળ્યું મણિપુર: ભયાનક ગોળીબારમાં 13થી વધુ લોકોના મોત
મણિપુરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાત મહિનાનો ઈન્ટરનેટ બેન રવિવારે હટાવાતાં જ હિંસા ભડકી ઉઠી હતી.રાજ્યના તેંગનોપલ જિલ્લામાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ ફાયરિંગમાં 13 લોકોના મોત થયા છે. મણિપુર સરકારે રવિવારે છેલ્લા સાત મહિનાથી રાજ્યના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ઈન્ટરનેટ પર પ્રતિબંધ હટતા જ હિંસાની ઘટના સામે આવી છે. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવારે બપોરે તેંગનોપલ જિલ્લાના સાયબોલ નજીકના લીથુ ગામમાં આતંકવાદીઓના બે જૂથો વચ્ચે ગોળીબારની જાણ થઈ હતી.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે સુરક્ષા દળો ઘટના સ્થળથી લગભગ 10 કિમી દૂર હતા. જ્યારે સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને લીથુ ગામમાં 13 લોકોના મોત નિપજ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં બે સમુદાયો, બહુમતી મીતેઈ અને લઘુમતી કુકી વચ્ચે હિંસક અથડામણ થઈ હતી, જેની અસર હજુ પણ છે.
3 મે 2023થી મણિપુરમાં મૈતેઈ અને કુકી વચ્ચે વંશીય અથડામણો થઈ રહી છે. અથડામણમાં ઓછામાં ઓછા 182 લોકો મોત થયાં છે અને હજારો બેઘર થયા. હિંસાને કારણે મણિપુરમાં 3 મેથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. 3 સપ્ટેમ્બરે ઈન્ટરનેટ થોડા સમય માટે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું પરંતુ 23 સપ્ટેમ્બરે ફરી બંધ કરવામાં આવ્યું હતું. આ હિંસામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 150 લોકો માર્યા ગયા છે અને 400 લોકો ઘાયલ થયા છે. સેના, અર્ધલશ્કરી દળો અને પોલીસ હિંસા રોકવા માટે સંઘર્ષ કરી રહી હોવાથી હજારો લોકોને તેમના ઘરોમાંથી અન્યત્ર જવાની ફરજ પડી છે.