અર્જુન મોઢવાડિયા દિલ્હી પહોંચતા ગુજરાતમાં ફરી વિસ્તરણની અટકળો
અમિત શાહ અને પાટીલ સાથે કરી ‘શુભેચ્છા’ મુલાકાત
લોકશભાની ચૂંટણી બાદ ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફાર થવાની અટકળો વચ્ચે ગુજરાતના નેતાઓની વડાપ્રધાન મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ સાથે મિલન-મુલાકાતો વધી ગયા છે. ત્યારે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈને પોરબંદરના ધારાસભ્ય બનેલા અર્જુનભાઈ મોઢવાડિયાએ પણ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરતા મંત્રી મંડળના વિસ્તરણની અટકળો ફરી તેજ થઈ છે.
કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અર્જુનભાઈ મોઢવાડિયા અને સી.જે. ચાવડાને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું કમિટમેન્ટ ભાજપ મોવડીઓ દ્વારા કરાયું હોવાની ચર્ચા વચ્ચે મોઢવાડિયાની દિલ્હી મુલાકાત સૂચક માનવામાં આવે છે.
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદરના ભાજપ્ના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દિલ્હી પહોંચ્યા છે અને અહીં તેમણે ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
આ સાથે મોઢવાડિયાએ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ સાથે પણ મુલાકાત કરી હતી. ધારાસભ્ય બન્યા બાદ મોઢવાડિયાની મુલાકાતથી અનેક અટકળો વહેતી થઈ છે. ગુજરાતના મંત્રી મંડળના વિસ્તરણની અટકળો વચ્ચે મોઢવાડિયાની આ મુલાકાતથી અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.
મોઢવાડિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપ્ની ટિકિટ પર ચૂંટાઈ આવ્યા છે.