અનિલ અંબાણીની વધી મુશ્કેલી,ED પછી હવે CBIએ ઘર સહિત અન્ય સ્થળોએ રેડ પાડી
ઉદ્યોગપતિ અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી રહી છે. મુંબઈમાં ED પછી, હવે CBIએ પણ તેમના ઘણા સ્થળોએ દરોડા પાડ્યા છે. અગાઉ EDએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. CBI ટીમો આજે મુંબઈમાં ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. RCOM અને અનિલ અંબાણી સંબંધિત સ્થળોએ આ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 66 વર્ષીય ઉદ્યોગપતિની તેમની ગ્રુપ કંપનીઓ સામે કરોડો રૂપિયાના અનેક બેંક લોન છેતરપિંડીના કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કર્યાના થોડા અઠવાડિયા પછી આ સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. CBIએ અનિલ અંબાણીના 6 સ્થળોએ દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CBIએ કંપની સામે બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો છે, જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ને 2000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
SBI એ તેને "છેતરપિંડી" ગણાવી હતી
SBIએ 13 જૂન, 2025 ના રોજ આ કેસને "છેતરપિંડી" તરીકે વર્ગીકૃત કર્યો હતો. આ પગલું ભારતીય રિઝર્વ બેંક (RBI)ની છેતરપિંડી જોખમ વ્યવસ્થાપન માર્ગદર્શિકા અને બેંકની બોર્ડ-મંજૂર નીતિ હેઠળ લેવામાં આવ્યું હતું. આ પછી, 24 જૂન, 2025 ના રોજ, બેંકે RBIને તેની જાણ કરી અને ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ ગયા મહિને લોકસભામાં એક લેખિત જવાબમાં આ સમગ્ર મામલાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે બેંકે RBI ને છેતરપિંડીનો રિપોર્ટ મોકલી દીધો છે અને CBI માં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. હવે CBI એ ઔપચારિક કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
ED એ પૂછપરછ કરી હતી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ થોડા દિવસો પહેલા બેંક છેતરપિંડીના એક કેસમાં અનિલ અંબાણીની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ નવી દિલ્હીમાં ED મુખ્યાલયમાં થઈ હતી, જ્યાં તેમની 17,000 કરોડ રૂપિયાના બેંક લોન કૌભાંડ અંગે ઘણા કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ED એ તેમને પૂછ્યું કે શું લોન શેલ કંપનીઓને આપવામાં આવી હતી, શું પૈસા રાજકીય પક્ષોને ગયા હતા, અને શું તેમણે કોઈ અધિકારીને લાંચ આપી હતી. એક અઠવાડિયા પછી અનિલ અંબાણીને ફરીથી બોલાવવામાં આવ્યા હતા.