આનંદીબેનના ફૂડની ચકાસણી માટે મૃત અધિકારીને જવાબદારી, કારકુન સસ્પેન્ડ
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ થોડા સમય પહેલા બલિયા ગયા હતા. સીએમઓ કચેરીએ લાંબા સમય પહેલાં મૃત્યુ પામેલા કર્મચારીને ફરજ સોંપી હતી. આ વાત બહાર આવતાં હોબાળો મચી ગયો હતો. ત્યારે આ મામલે આરોગ્ય વિભાગે તપાસ શરૂૂ કરી હતી. સમાચાર એજન્સી ભાષા અનુસાર, હવે રાજ્યપાલના કાર્યક્રમમાં મૃત કર્મચારીને ફરજ પર મૂકવા બદલ ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ) ઓફિસના એક ક્લાર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.
મુખ્ય ચિકિત્સા અધિકારી ડો. વિજયપતિ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, સીએમઓ ઑફિસના આશુ ક્લાર્ક બ્રિજેશ કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને અધિક નિયામકની ઑફિસ, આઝમગઢથી આદેશ આપવામાં આવ્યો છે. સીએમઓએ જણાવ્યું કે, આશુ ક્લાર્ક બ્રિજેશ કુમારે તાજેતરમાં રાજ્યપાલ આનંદીબેન પટેલના કાર્યક્રમમાં ગંભીર ભૂલ કરી હતી. કુમારે કથિત રીતે રાજ્યપાલ પટેલના કાર્યક્રમમાં મૃત કર્મચારીની ફરજ સોંપી હતી. આ ઉપરાંત ખાદ્યપદાર્થોની ચકાસણી કરવા માટે કોઈ કર્મચારીને ફરજ પર મૂકવામાં આવ્યો ન હતો. દ્વિવેદીએ કહ્યું કે, બ્રિજેશ કુમાર સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. રાજ્યપાલ પટેલ 26મી નવેમ્બરના રોજ જિલ્લાના બસંતપુર સ્થિત બલિયા સ્થિત જનનાયક ચંદ્રશેખર યુનિવર્સિટીના પાંચમા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.