જેલમાં ભુખ્યો-તરસ્યો ફરસ પર સૂતો અલ્લુ
હાઈકોર્ટનો ઓર્ડર સમયસર નહીં મળતા રાત જેલમાં વિતાવી, સવારે છૂટકારો
પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં ધરપકડ કરાયેલા તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનને તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા બાદ શનિવારે વહેલી સવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. ગઈ કાલે તેને નીચલી અદાલતે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. જો કે તેલંગાણા હાઈકોર્ટે આ મામલે તત્પરતા દાખવીને તેને વચગાળાના જામીન આપ્યા છે. કોર્ટનો આદેશ સમયસર ન આવવાને કારણે અલ્લુ અર્જુનને જેલમાં રાત વિતાવવી પડી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જેલમાં તેને કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી નથી. તેની સાથે સામાન્ય કેદી જેવો વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેણે આખી રાત જેલના ફ્લોર પર સૂઈને વિતાવી.
સૂત્રોએ વધુમાં જણાવ્યું કે તેનો કેદી નંબર 7697 હતો. તે આખી રાત જેલમાં જમીન પર સૂતો રહ્યો. તેણે રાત્રિનું ભોજન પણ નહોતું લીધું. વહેલી સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. મુક્તિ બાદ ઘરે પહોંચ્યા બાદ અલ્લુ અર્જુને કહ્યું કે તે કાયદાનું સન્માન કરે છે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. હાઈકોર્ટે રૂૂ. 50,000ના અંગત બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા હતા. હવે આ મામલે 25 જાન્યુઆરીએ સુનાવણી થવાની છે. અલ્લુ અર્જુનના વકીલ અશોક રેડ્ડીએ ચંચલગુડા જેલની બહાર મીડિયાને કહ્યું, જો કે, તેમણે આરોપ લગાવ્યો કે હાઈકોર્ટના આદેશની નકલ મેળવવા છતાં જેલ સત્તાવાળાઓએ અલ્લુ અર્જુનને મુક્ત કર્યો નથી.
રેડ્ડીએ કહ્યું, તમારે સરકાર અને વિભાગને પૂછવું જોઈએ કે તેઓએ આરોપીઓને કેમ છોડ્યા નથી. હાઈકોર્ટનો આદેશ એકદમ સ્પષ્ટ છે. જેલ સત્તાધીશોને આદેશ મળતાં જ તેમને તુરંત મુક્ત કરવા પડશે. સ્પષ્ટ આદેશ છતાં તેમણે છોડ્યા નહીં, તેમણે જવાબ આપવો પડશે. આ ગેરકાયદેસર અટકાયત છે. અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.