For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

થરૂરના મૌન વ્રત પછી તિવારીની ‘ભારત કી બાત’: મોદીને ભીંસમાં લેવા જતાં કોંગ્રેસ ભેરવાઈ

05:39 PM Jul 29, 2025 IST | Bhumika
થરૂરના મૌન વ્રત પછી તિવારીની ‘ભારત કી બાત’  મોદીને ભીંસમાં લેવા જતાં કોંગ્રેસ ભેરવાઈ

ભારતીય પ્રતિનિધિ મંડળમાં સામેલ કોંગ્રેસના બન્ને સાંસદોએ પાર્ટી લાઇન માનવા ઇનકાર કરતાં વકતાની યાદીમાંથી બહાર

Advertisement

હૈ પ્રીત જહાં કી રિત સદા, મૈં ગીત વહાં કે ગાતા હૂં, ભારત કા રહને વાલા હૂં, ભારત કી બાત સુનાતા હૂં... કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર 1970ની ફિલ્મ પૂરબ ઔર પશ્ચિમના આ ગીતની પંક્તિઓ પોસ્ટ કરીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે.

આ પોસ્ટ સાથે, તેમણે એક લેખ પણ શેર કર્યો છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકસભામાં ઓપરેશન સિંદૂર દરમિયાન તેમને વક્તાઓની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા, કારણ કે તેમણે સરકારની તરફેણમાં વાત કરી હતી.

Advertisement

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, મનીષ તિવારીએ લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના કાર્યાલયને મેઇલ કરીને ચર્ચામાં બોલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ કોંગ્રેસે વકતાઓની યાદીમાં તેમને સામેલ કર્યા નહોતા.

શશી થરૂર અને મનીષ તિવારી આ બંને કોંગ્રેસી ઓપરેશન સિંદૂર પછી વિદેશની મુલાકાત લેનારા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળનો ભાગ હતા અને તેઓએ ઓપરેશન સિંદૂરને ખુલ્લેઆમ ટેકો આપ્યો હતો. કોંગ્રેસ દ્વારા આ બંને નેતાઓના નામ પ્રતિનિધિમંડળ માટે આપવામાં આવ્યા ન હતા, પરંતુ કેન્દ્ર સરકારે પોતાના તરફથી આ બંને વરિષ્ઠ નેતાઓને સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ બનાવ્યા હતા.

આ અંગે કોંગ્રેસ હાઇકમાન્ડ અને આ બંને નેતાઓ વચ્ચેની કડવાશ ઘણી વખત સામે આવી છે. ગઈકાલે, શશી થરૂૂરે વક્તાઓની યાદીમાં સમાવેશ ન થતાં ચુપ રહીને કંઈપણ બોલવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ પાછળથી, સૂત્રો પાસેથી સ્પષ્ટ થયું કે કોંગ્રેસ પાર્ટી થરૂૂરને વક્તા બનાવવા માંગતી હતી. પરંતુ પાર્ટી લાઇન પર બોલવા માટે તેમની સમક્ષ એક શરત મૂકવામાં આવી હતી અને તેમને ઓપરેશન સિંદૂર પર સરકારને ઘેરવાનું કહેવામાં આવ્યું હતું.

કોંગ્રેસની આ લાઇન થરૂૂરને સ્વીકાર્ય ન હતી અને તેમણે ઓપરેશન સિંદૂર પરની ચર્ચાથી પોતાને દૂર રાખ્યા હતા. તેમના વિદેશ પ્રવાસ દરમિયાન, થરૂૂરે ખુલ્લેઆમ ઓપરેશન સિંદૂર અને કેન્દ્ર સરકારને ટેકો આપ્યો હતો. તે પછી પણ, તેમણે ઘણી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે, જેના કારણે કોંગ્રેસ અસ્વસ્થ છે.
ઓપરેશન સિંદૂર અંગે સંસદમાં ચાલી રહેલી ચર્ચા પર કોંગ્રેસ પાર્ટીમાં હોબાળો મચી ગયો છે. પરંતુ પાર્ટીના સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે ચર્ચામાં બોલનારા વક્તાઓ મર્યાદિત છે અને જે કોઈ બોલશે તે કોંગ્રેસ પાર્ટીનો પક્ષ રજૂ કરશે.

તેમણે કહ્યું કે ગૃહમાં વક્તાઓની યાદીમાંથી ઘણા લોકોને બાકાત રાખવામાં આવ્યા છે અને મનીષ તિવારી પણ તેમાંથી એક છે. તેમનું કહેવું છે કે આ અંગે કોંગ્રેસમાં કોઈ મતભેદ નથી.

કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે પણ મનીષ તિવારીનો ભૂતપૂર્વ પદ અંગે પાર્ટીનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે મનીષ તિવારી જે ગીત ગાઈ રહ્યા છે તે મુકેશનું ગીત છે. તે ગીત તે સમયનું ગીત છે જ્યારે ભારતે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યું હતું. તે ગીત ઇન્દિરા ગાંધીના યુગનું ગીત છે. તે ગીત તે સમયનું ગીત છે જ્યારે આયર્ન લેડી ઇન્દિરા ગાંધીએ અમેરિકા સામે પોતાનો ગુસ્સો દર્શાવ્યો હતો.

વિદેશયાત્રામાં વિપક્ષી સાંસદોને સામેલ કર્યા તે મોદીની મહાનતા: સુુલે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાંસદ સુપ્રિયા સુલેએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા કહ્યું કે તે તેમની મહાનતા છે કે તેમણે આતંકવાદ સામેની દેશની લડાઈને ઉજાગર કરવા માટે ઓપરેશન સિંદૂર પછી ભારતના ભાગીદારો પાસે ગયેલા પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે વિપક્ષી નેતાઓ પર વિશ્વાસ દર્શાવ્યો. ઓપરેશન સિંદૂર પર લોકસભામાં બોલતા, સુપ્રિયા સુલેએ કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે વિપક્ષી નેતાઓની નિમણૂક કરીને મોટું હૃદય દર્શાવ્યું.

Advertisement
Tags :
Advertisement
Advertisement