દિલ્હીમાં ફ્લેટના સાતમા માળે લાગી ભીષણ આગ, જીવ બચાવા પિતાએ બે બાળકો સાથે લગાવી છલાંગ, ત્રણેયના મોત
દિલ્હીના દ્વારકામાં એક બહુમાળી એપાર્ટમેન્ટમાં આગ લાગવાથી મોટી દુર્ઘટના સર્જાઈ. થોડી જ વારમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી ઇમારત આગની લપેટમાં આવી ગઈ. પોતાને બચાવવા માટે એક પરિવારના સભ્યોએ સાતમા માળેથી નીચે કૂદી પડ્યા. આ અકસ્માતમાં એક પુત્ર, એક પુત્રી અને પિતાનું મોત નીપજ્યું. આ ઘટના આજે સવારે 10 વાગ્યાની આસપાસ બની હતી.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના દ્વારકા સેક્ટર-૧૩માં એક એપાર્ટમેન્ટમાં આગ લાગી હોવાની જાણ થઈ હતી. ફાયર બ્રિગેડના 8 વાહનો ઘટનાસ્થળે હાજર છે. આગ એટલી ભયંકર હતી કે આખી ઇમારત આગની લપેટમાં આવી ગઈ હતી, જેના પછી આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. આગની જ્વાળાઓમાં ઘેરાયેલા જોઈને સાતમા માળે રહેતો એક પરિવાર ગભરાઈ ગયો અને પિતા બે બાળકો સાથે કૂદી પડ્યો.
https://x.com/PTI_News/status/1932304258797629471
પોલીસના જણાવ્યા અનુસાર, દ્વારકા સેક્ટર ૧૩ની શપથ સોસાયટીમાં ૮મા અને ૯મા માળે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બે બાળકો (એક છોકરો અને એક છોકરી, બંને ૧૦ વર્ષ) પોતાને બચાવવા માટે બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા, જેમને આકાશ હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં, આ બાળકોના પિતા, યશ યાદવ (૩૫ વર્ષ) પણ બાલ્કનીમાંથી કૂદી પડ્યા હતા, તેમને પણ IGI હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. યશ યાદવ ફ્લેક્સ બોર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા હતા.
યશ યાદવની પત્ની અને મોટો દીકરો આગમાંથી બચી ગયા હતા અને સુરક્ષિત છે. તેમને તબીબી સહાય માટે IGI હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. સોસાયટીના તમામ રહેવાસીઓ દ્વારા ઘરો ખાલી કરાવી દેવામાં આવ્યા છે. વીજળી અને પીએનજી કનેક્શન જેવી તમામ સુવિધાઓ કાપી નાખવામાં આવી છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે ડીડીએ અને એમસીડીને જાણ કરવામાં આવી છે. પરિવારને મદદ કરવા માટે આકાશ અને આઈજીઆઈ હોસ્પિટલમાં ટીમો તૈનાત કરવામાં આવી છે.
અગાઉ, અધિકારીએ કહ્યું હતું કે ફ્લેટમાં બે-ત્રણ લોકો ફસાયેલા હોઈ શકે છે. હાલમાં, કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.