હરિયાણાના પંચકૂલામાં એક જ પરિવારના 7 લોકોએ કારમાં જ કરી આત્મહત્યા
હરિયાણાના પંચકુલામાંથી એક હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારના 7 સભ્યોએ કારમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. પંચકુલાના સેક્ટર-27માં એક ઘરની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં સાતેયના મૃતદેહ બંધ હાલતમાં મળી આવ્યા હતા. આ ઘટનાથી વિસ્તારના લોકો ચોંકી ગયા છે. પીડિત પરિવારના લોકો દેહરાદૂનના રહેવાસી હતા.
મળતી વિગતો અનુસાર, દેહરાદૂનનો રહેવાસી પ્રવીણ મિત્તલ પોતાના પરિવાર સાથે પંચકુલાના બાગેશ્વર ધામમાં આયોજિત હનુમાન કથા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી, દેહરાદૂન પરત ફરતી વખતે, તેઓએ સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. મૃતકોમાં દહેરાદૂનના રહેવાસી 42 વર્ષીય પ્રવીણ મિત્તલ, પ્રવીણના માતા-પિતા, પ્રવીણની પત્ની અને બે પુત્રીઓ અને એક પુત્ર સહિત ત્રણ બાળકોનો સમાવેશ થાય છે.પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરિવારના સભ્યો દેવામાં ડૂબેલા હતા અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. પંચકુલાના ડીસીપી હિમાદ્રી કૌશિકે જણાવ્યું હતું કે અમને માહિતી મળી હતી કે છ લોકોને ઓજસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યારે અમે અહીં પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે તે બધા મૃત છે. સેક્ટર 6 સિવિલ હોસ્પિટલમાં અન્ય એક વ્યક્તિને લાવવામાં આવ્યો હતો, તેને પણ મૃત જાહેર કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પ્રથમ દ્રષ્ટિએ આ આત્મહત્યાનો મામલો લાગે છે. તમામ મૃતદેહોને ખાનગી હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ માટે સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કર્યા હતા.પોલીસ આ મામલાની તપાસમાં વ્યસ્ત છે.