સુપ્રીમ કોર્ટની નોટિસ બાદ બાબા રામદેવને 2300 કરોડનું નુકશાન
સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિને ગઈકાલે મોટો ઝટકો આપ્યો છે. જે બાદ બુધવારે સવારે પતંજલિ ફૂડ્સના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ અને તેના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણને દવાની જાહેરાતોમાં ભ્રામક દાવા ન કરવાના તેમના વાયદાનું પાલન ના કરવા બદલ કોર્ટના તિરસ્કારની નોટિસ પાઠવી છે. જેની અસર શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓના શેરમાં જોવા મળી રહી છે. માત્ર 105 મિનિટમાં બાબા રામદેવની કંપનીને લગભગ 2300 કરોડ રૂૂપયાનું નુકસાન થવા પામ્યું છે.
સુપ્રીમ કોર્ટે પતંજલિને હૃદયરોગ અને અસ્થમા જેવા રોગોના ઈલાજનો દાવો કરતા ઉત્પાદનોને પ્રમોટ કરવા પર પણ રોક લગાવી હતી. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઇએમએ) દ્વારા કોર્ટમાં પુરાવા રજૂ કર્યા બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. જેમાં ધ હિન્દુ અખબારમાં પતંજલિની જાહેરાત અને એક પ્રેસ કોન્ફરન્સનો સમાવેશ થાય છે, જેમાં કંપનીએ યોગની મદદથી ડાયાબિટીસ અને અસ્થમાને સંપૂર્ણ રીતે મટાડવાનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પતંજલિને અગાઉના કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું હોવાનું શોધી કાઢ્યું હતું, જેમાં પતંજલિને ભ્રામક જાહેરાતો જાહેર કરવા અને ભ્રામક દાવા કરવા પર રોક લગાવી હતી. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ કંપનીના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માહિતી અનુસાર, બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં પતંજલિ ફૂડ્સના શેરની કિંતમમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો હતો અને કંપનીનો શેર 1556 રૂૂપિયા પર આવ્યો હતો. જ્યારે એક દિવસ પહેલા કંપનીના શેર રૂૂ. 1620.20 પર બંધ થયા હતા.
બાબા રામદેવની કંપનીને 105 મિનિટના ટ્રેડિંગ સેશન દરમિયાન લગભગ 2300 કરોડ રૂૂપિયાનું નુકસાન થયું હતું. એક દિવસ પહેલા કંપનીનું વેલ્યુએશન 58,650.40 કરોડ રૂૂપિયા હતું. સવારે 11 વાગ્યે તે રૂૂ. 56,355.35 કરોડ પર પહોંચી ગયું હતુ.