મધ્યપ્રદેશમાં મધરાત્રે બે ભીષણ દુર્ઘટના, 12નાં મોત, 30 ઘાયલ
મધ્યપ્રદેશમાં મોડી રાત્રે બે ભીષણ દુર્ઘટના બની હતી. આ બંને દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે. ઈન્દોરના મહૂ ક્ષેત્રના ચોરલમાં એક નવા બની રહેલા ફાર્મ હાઉસની છત ધરાશાયી થઈ હતી. જેને કારણે નીચે ઊંઘી રહેલા મજૂરો કાટમાળ નીચે દબાઇ ગયા હતા. આ દુર્ઘટનામાં સાત મજૂરોના મોત થયા છે. આ તમામ મજૂરો બાંધકામના કાર્યમાં જોડાયેલા હતા અને છતનું કાર્ય સંપન્ન થયા પછી ત્યાં જ ઊંઘી ગયા હતા. ઘટનાની જાણ થયા પછી તરત રાહત અને બચાવ ટીમો આવી પહોંચી હતી.
બીજી દુર્ઘટના પાંડુર્ણા જિલ્લામાં બની હતી, ત્યાંના મોહિઘાટ પર ભોપાલથી હૈદરાબાદ તરફ જઈ રહેલી બસ ડિવાઇડરથી ટકરાઇ અને પુલની રેલિંગ તોડીને ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં હમણાં સુધી પાંચ લોકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે, એ પૈકી 10થી વધુની હાલત ગંભીર છે.રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે બંને દુર્ઘટનાઓ પર શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.