દિલ્હી-UP-છત્તીસગઢમાં વાવાઝોડા અને વરસાદના કારણે 10નાં મોત, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
દેશભરમાં હવામાન બદલાયું છે. ગુરુવારે રાત્રે દિલ્હી-એનસીઆર, યુપી અને છત્તીસગઢમાં ભારે પવન સાથે મુશળાધાર વરસાદ વરસ્યો. વાવાઝોડા, વરસાદ અને વીજળી પડવાની ઘટનાઓમાં ૧૦ લોકોના મોત થયા. દિલ્હી-યુપીમાં ૪-૪ અને છત્તીસગઢમાં ૨ લોકોના મોત થયા.
દિલ્હી-એનસીઆરમાં હજુ પણ જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દિલ્હી એરપોર્ટથી ૧૦૦થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. ૩ ફ્લાઇટ્સ પણ ડાયવર્ટ કરવી પડી હતી.
https://x.com/ANI/status/1918113484761334267
રાજધાની દિલ્હીમાં ગઈ કાલે રાતથી વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. સવારે 5 વાગ્યાની આસપાસ રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો. દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ પડતાં 4થી વધુ લોકોના મોત થયાં હતા. ભારે વાવાઝોડાને કારણે ઝાડ તૂટી પડતાં દુર્ઘટના સર્જાઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીના પ્રગતિ મેદાન વિસ્તારમાં 78 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો. આ દરમિયાન થોડી જ વારમાં વરસાદ શરૂ થઈ ગયો. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના લોકોને ગરમીથી રાહત મળી રહી છે. હવામાન વિભાગે દિલ્હી માટે રેડ એલર્ટ જારી કર્યું છે.
હવામાન વિભાગે આજે રાજસ્થાનના ૩૦ જિલ્લાઓમાં વાવાઝોડાની ચેતવણી જારી કરી છે. ગુરુવારે વહેલી સવારે જયપુર, જેસલમેર, ભીલવાડા અને પાલીમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો અને ઘણી જગ્યાએ કરા પણ પડ્યા હતા.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં કરા પડી શકે છે. જ્યારે રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબમાં જોરદાર પવન તોફાનો ફૂંકાશે.