કે.કૈલાશનાથનને નર્મદા નિગમના ચેરમેન બનાવાયા
મુખ્યમંત્રી કાર્યાલયમાં દસકાથી દબદબો ધરાવતા અધિકારીની દિલ્હી જવાની અટકળોને પૂર્ણ વિરામ
મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા કે.કૈલાસનાથનની હવે સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં અધિકારી આગામી આદેશ સુધી તેઓ સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન તરીકે સેવા આપશે.
મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ તરીકે ફરજ બજાવતા કે.કૈલાસનાથનનો 30 જુને મુખ્યમંત્રી કાર્યાલયમાં છેલ્લો દિવસ હતો. આ વખતે મુખ્યમંત્રીના અધિક મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથનને એક્સસ્ટેશન આપવામાં આવ્યું નથી. વર્ષ 2009થી કે.કૈલાસનાથન મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરજ બજાવતા હતા અને 2013માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે નિવૃત થયા હતા.
1979 બેચના અધિકારી કૈલાસનાથનને ગુજરાત સરકારના સંકટમોચક માનવામાં આવે છે અને તેમણે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ તરીકે કામ કર્યુ હતું. જૂન-2013માં સેવાનિવૃત્ત થયા બાદ તરત જ મોદીએ તેમના માટે પોતાની કચેરીમાં મુખ્ય અગ્ર સચિવનો એક વિશેષ હોદ્દો ઊભો કરી તેમને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી નિમણૂક આપી હતી.
2014ની લોકસભા ચૂંટણી પછી મોદી વડાપ્રધાન બન્યા અને તેઓ કૈલાસનાથનને પોતાની સાથે દિલ્હી લઈ જશે તેવી અટકળો વચ્ચે પણ કૈલાસનાથન ગુજરાત જ રહ્યા અને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ બે વાર એક-એક વર્ષના બે એક્સટેન્શન આપ્યા. તે પછી વિજય રૂૂપાણી મુખ્યમંત્રી બન્યા અને તેમણે ઓગસ્ટ-2016થી ડિસેમ્બર-2017 અને ડિસેમ્બર-2017થી એક્સટેન્શન અપાયું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી બનેલા ભુપેન્દ્રભાઈ પટેલે પણ તેમને પોતાના અગ્ર સચિવ તરીકે ચાલુ રાખ્યા હતા અને હવે જ્યારે ભુપેન્દ્ર પટેલ ફરી એક વખત મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે ફરી વખત કે. કૈલાસનાથનને એક વર્ષ માટે એક્સ્ટેન્શન આપ્યું હતું પણ આ વખતે અધિકારીને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું નથી.
રાજીવ ગુપ્તાનો કાર્યકાળ 2 વર્ષ લંબાવાયો
ગુજરાત સરકારમાં ઘણા વર્ષોથી મહત્વની ભૂમિકા પર રહેલા પૂર્વ આઇએએસ રાજીવ ગુપ્તાને 2 વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આઇએએસ રાજીવ ગુપ્તાનો કાર્યકાળ 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. રાજીવ ગુપ્તા ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યકત રહેશે. રાજીવ ગુપ્તા અગાઉ સરદાર સરોવર પ્રોજેક્ટના ખઉ પણ રહી ચૂક્યા હતા. રાજીવ ગુપ્તાની વાત કરવામાં આવે તેઓ 1986 બેચના છે અને તેઓ ઈન્ડસ્ટ્રીઝ માઈન્સ વિભાગમાં એડિશનલ ચીફ સેક્રેટરીનું પદ સંભાળી રહ્યા હતા. વધુમાં ગુજરાત સરકારની મહત્વકાંક્ષી યોજના ગણાતી સરદાર સરોવર પ્રોજેક્ટમાં તેમની પાસે જ એમડીનો ચાર્જ પણ હતો.