સોશિયલ મીડિયાની લિંક પર ટ્રેડિંગ કરવા જતા નાયબ મામલતદારે 1.12 કરોડ ગુમાવ્યા
અમદાવાદ વસ્ત્રાલના નાયબ મામલતદારે સોશિયલ મીડિયામાં આવેલી લીંક પર ઓનલાઈન શેરબજારમાં ટ્રેડીંગ કરવા જતાં 1.12 કરોડ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. એટલું જ નહીં પરંતુ જે ગ્રુપની લીંકમાં ટ્રેડીંગ કર્યુ હતું તે ગ્રુપના સંચાલકો દ્વારા મની લોન્ડ્રીંગના કેસથી બચવું હોય તો વધુ 30 % રકમ આપવી પડશે. તેમ કહેતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટના અંગેની સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ વસ્ત્રાલના નાયબ મામલતદાર જયેન્દ્ર ચૌહાણ પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર સર્ફિંગ કરી રહ્યા હતા ત્યારે શેરબજારમાં ડીલ કરતી વોટ્સએપ ગ્રુપની લીંક મળી હતી વેનગાર્ડ ક્લબ નામના જુથ દ્વારા ઓનલાઈન ટ્રેડીંગનું પ્રલોપન આપતા ફરિયાદીએ સોશિયલ મીડિયામાં મળેલી લીંકના આધારે પોતાના બેંકના ખાતામાંતી રૂા. 1.12 કરોડ રૂપિયા શેરબજારમાં રોકાણ કર્યુ હતું.
ઈડીની ધમકી આપી નાયબ મામલતદાર પાસે 30% વધુ નાણાની વધુ માંગણી કરી હતી અને એવો મેસેજ આપ્યો હતો કે, 3 મે સુધીમાં પૈસા જમા નહીં કરાવો તો તમે રોકાણ કરેલ 1.12 કરોડની રકમ રાષ્ટ્રની તિજોરીમાં જમા કરાવી દેવામાં આવશે.
29 એપ્રીલે સાત્વીક ભનોટે વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ મોકલ્યો હતો અને તેમાં જણાવ્યું હતું કે, મનીલોન્ડ્રીંગના આરોપમાં ઈડી દ્વારા શેર બજાર ગ્રુપના સંચાલક ગણેશ ગંગાસ્વામીની ધરપકડ કરવામા આવી છે અને તમારે ઈડીના દરોડાથી બચવું હોય તો 30% નાણા એકાઉન્ટમાં જમા કરાવવાનું કહ્યું તું આમ નાયબ મામલતદારને છેતરાયાની જાણ થતાં સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
સોશિયલ મીડિયાના આધેર અનેક રોકાણકારોને છેતરીને તેમની સાથે ચીટીંગ કર્યા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. વોટ્સએપ ગ્રુપ અને ફેસબુકમાં લીંક મોકલી ગ્રાહકોને લોભામણી સ્કીમ આપી રાતો રાત પૈસા કમાઈ દેવાના બહાને શીશામાં ઉતારી તેમની સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં તેમને ઈડીની ધમકી આપી નાણા ખંખેરવાનું કૌભાંડ ચાલતુ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.