મુંબઈ ATSએ ચાર બાંગ્લાદેશી ઘૂસણખોરની કરી ધરપકડ, નકલી આધાર કાર્ડ સાથે કર્યું હતું મતદાન
દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે મહારાષ્ટ્ર ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતીય પાસપોર્ટ અને મતદાર આઈડી કાર્ડ બનાવવા બદલ ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી છે. ચારેયને આજે મઝગાંવ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણને જ્યુડિશિયલ કસ્ટડીમાં અને એકને 14 જૂન સુધી એટીએસ કસ્ટડીમાં મોકલી દીધા છે.
અધિકારીઓએ આજે જણાવ્યું હતું કે એક ચોક્કસ બાતમીના આધારે, એટીએસના મુંબઈના જુહુ યુનિટે રિયાઝ હુસૈન શેખ (33), સુલતાન સિદ્ધિયાઉ શેખ (54), ઇબ્રાહિમ શફીઉલ્લા શેખ (44) અને ફારૂક ઉસ્મંગાની શેખ (39)ની ધરપકડ કરી છે. પકડાયેલા બાંગ્લાદેશીઓ નકલી દસ્તાવેજો દ્વારા લાંબા સમયથી મુંબઈના જુદા જુદા ભાગોમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેમણે ગયા મહિને લોકસભાની ચૂંટણીમાં પણ મતદાન પણ કર્યું હતું.
એટીએસના જણાવ્યા મુજબ આરોપીઓ બાંગ્લાદેશના વતની છે અને મુંબઈના જુદા જુદા ભાગોમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. એક અધિકારીએ જણાવ્યું કે પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકો ઘણા વર્ષો પહેલા ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ પોતાને ભારતીય નાગરિક સાબિત કરવા માટે ભારતીય પાસપોર્ટ પણ બનાવ્યા હતા. આરોપીઓએ પાસપોર્ટ મેળવવા માટે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો, જે સુરત, ગુજરાતના રહેવાસી હોવાનો દાવો કર્યો હતો.
એક અધિકારીના જણાવ્યા અનુસાર ATSએ વધુ 5 બાંગ્લાદેશીઓને ઓળખી લીધા છે અને તેમની શોધ ચાલી રહી છે. ધરપકડ કરાયેલા બાંગ્લાદેશીઓની જેમ આ પાંચેયને પણ આવી જ રીતે બનાવેલા પાસપોર્ટ મળ્યા હતા અને તેમાંથી એક સાઉદી અરેબિયા પણ ગયો હતો. એટીએસની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપીઓએ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં પણ પાસપોર્ટની મદદથી મતદાન કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આરોપીઓએ નકલી નાગરિકતાના દસ્તાવેજો આપીને મતદાર ઓળખ કાર્ડ મેળવ્યા હતા અને લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યું હતું