શપથ સાથે જ મોદી સરકાર એક્શનમાં, સાંજે ખાતા ફાળવણી
ત્રીજીવાર પીએમ બનવાના નેહરુના રેકોર્ડની બરાબરી કરતા મોદી, સાંજે નવા પ્રધાનમંડળની પ્રથમ બેઠક
6 પૂર્વ મુખ્યમંત્રીઓ સામેલ: 13 પ્રધાનો સાથે દક્ષિણનો દબદબો: યુ.પી.ના સૌથી વધુ 13 પ્રધાનો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગઇકાલે કુલ 72 મંત્રીઓએ શપથ લીધા હતા. વડાપ્રધાને ત્રીજીવાર સત્તા સંભાળવા સાથે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના રેકોર્ડની બરાબરી કરી હતી. આ સિધ્ધી મેળવનારા તે પ્રથમ બિનકોંગ્રેસી નેતા છે. મોદી 3.0 સરકારમાં 30 કેબીનેટ મંત્રીઓ ઉપરાંત સ્વતંત્ર પ્રધાન ધરાવતા પાંચ રાજયમંત્રીઓ અને 31 જુનીયર પ્રધાનોને સ્થાન અપાયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટ બેઠક આજે સાંજે લોક કલ્યાણ માર્ગ સ્થિત તેમના ઘરે મળવાની શક્યતા છે. સુત્રો પાસેથી આ જાણકારી મળી છે. આ બેઠક સાંજે પાંચ વાગ્યે મળી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ મોદી સરકારની નવી કેબિનેટમાં સામેલ લોકો માટે ડિનરનું પણ આયોજન કર્યું છે.
પીએમ મોદીના મંત્રી મંડળમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર પ્રભારના રાજ્ય મંત્રી અને 36 રાજ્ય મંત્રી છે. મંત્રી મંડળમાં 24 રાજ્યના સાંસદોને જગ્યા આપવામાં આવી છે. 71 સભ્યોની ટીમમાં યુવા અને અનુભવી નેતાોનું સંતુલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આજે સાંજે ખાતા ફાળવણી કરવામાં આવે તેવી શકયતા છે.
મોદી સરકાર 3.0માં ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 11 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. બિહારમાંથી આઠ મંત્રીઓ છે. મંત્રીમંડળમાં એમપી, હરિયાણા, યુપી, આસામ સહીત 6 રાજયોના પૂર્વ મુખ્યમંત્રીઓ સામેલ છે.
ઉત્તર પ્રદેશમાંથી નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, હરદીપ પુરી, જયંત ચૌધરી, જિતિન પ્રસાદ, પંકજ ચૌધરી, અનુપ્રિયા પટેલ, એસપી સિંહ બઘેલ, કીર્તિવર્ધન સિંહ, બીએલ વર્મા, કમલેશ પાસવાન સહીત 11 સાંસદોને સ્થાન મળ્યું છે. બિહારમાં જીતન રામ માંઝી, રાજીવ રંજન સિંહ પલલન સિંહથ, ગિરિરાજ સિંહ, ચિરાગ પાસવાન, રામનાથ ઠાકુર, નિત્યાનંદ રાય, સતીશ ચંદ દુબે, રાજભૂષણ ચૌધરી મંત્રી પદ પામ્યા છે.
મંત્રીમંડળમાં સ્થાન મળનારા બે કોઇપણ ગૃહના સભ્ય નથી. આ સભ્યોમાં પૂર્વ કેન્દ્રીય પશુપાલન રાજયમંત્રી એલ મુરૂગન અને રવનીતસિંહ બિટ્ટુનો સમાવેશ થાય છે. મુરૂગન તામિલનાડુમાં અને બિટ્ટુ પંજાબની લુધિયાણા બેઠક પર હારી ગયા હતા.
મોદી પ્રધાનમંડળને ઉતર અને દક્ષિણ ભારતના દ્રષ્ટીકોણથી જોવામાં આવે તો ચુંટણી ભાજપને મોટી સફળતા ન મળી હોવા છતાં દણિણ ભારતના રાજયોમાંથી 13 સાંસદોને પ્રતિનિધિત્વ મળ્યું છે. એમાં જેડીએસના નેતા કુમાર સ્વામી અને ટીડીપીના બે સાંસદો કે રામમોહન નાયડુ અને ચંદ્રશેખર પેમાસાની સામેલ છે. આ ઉપરાંત ભાજપના આંધ્રમાંથી ચુંટાયેલા શ્રીનિવાસ વર્મા, કેરળના સુરેશ ગોપી અને પહેલીવાર મંત્રી બનેલા જયોર્જ કુરિયન પણ સામેલ છે. ઉલ્લેખનીય છે કે તેમણે લોકસભાની ચુંટણી લડી નહોતી અને ઉપલા ગૃહના પણ સભ્ય નથી. તેલંગાણામાંથી ભાજપ નેતાઓ કિશન રેડ્ડી અને બાંદી સંજયકુમાર ઉપરાંત તામિલનાડુમાંથી એસ મુરૂગનને રાજયમંત્રી બનાવાયા છે.
આ ઉપરાત્ત 7 મહીલા મંત્રીઓને સ્થાન મળ્યું છે. 2019ની સંખ્યા કતા તેમનું પ્રતિનિધિત્વ આ વખતે ઘટયું છે. નોંધપાત્ર વાત એ છે કે ગત વખતના માહિતી-પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર હિમાચલપ્રદેશમાં જીત્યા છતાં તેમને પ્રધાનમંડળમાં સ્થાન નથી અપાયું.એવી જ રીતે બિહારના દિગ્ગજ નેતા અને પૂવ કેબીનેટ મંત્રી રવિશંકર પ્રસાદને વધુ એક વખત બાકાત રાખવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કાર્યક્રમમાં લગભગ 9000 મહેમાનો હાજર હતા. ભારતના પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્રના રાજ્યોના વડાઓ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પપ્રચંડથ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને સેશેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ અહેમદ અફીફ આ સમારોહમાં વિશેષ અતિથિઓમાં સામેલ હતા.
આ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ, ટીડીપીના વડા અને આંધ્રપ્રદેશના ચૂંટાયેલા મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ, બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર અને કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગે ઉપસ્થિત અન્ય લોકોમાં સામેલ હતા.
રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો પ્રફુલ્લ પટેલે નકારતા પ્રથમ ગ્રાસે મક્ષિકા
મોદી સરકારના શપથ ગ્રહણ પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું કે એનસીપીએ કેબિનેટ મંત્રી પદની માંગ કરી હતી, પરંતુ તેમને રાજ્ય મંત્રીનું પદ આપવામાં આવી રહ્યું હતું. તેથી અમે ભાજપને કહ્યું કે અમે થોડા દિવસો રાહ જોવા તૈયાર છીએ, પરંતુ અમે કેબિનેટ મંત્રાલય ઇચ્છીએ છીએ. એનસીપીના રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલે કહ્યું, અમને સ્વતંત્ર ચાર્જ રાજ્યમંત્રી વિશે માહિતી મળી છે, પરંતુ હું પોતે ભારત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યો છું, જો આ પદ સ્વીકારુ તો મારુ ડિમોશન થઇ જાત.