મોદીએ ત્રીજીવાર પીએમ બનવાના નેહરુની બરાબરી કરી, પણ મહાનતાનો મોહ છોડે
લોકસભાની તમામ બેઠકોનાં પરિણામ આવી ગયાં અને કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં તોડજોડનું રાજકારણ શરૂૂ થઈ ગયું છે. ભાજપે બહુ કૂદાકૂદ કરી અને 370 બેઠકો એકલા હાથે જીતીને સરકાર રચીશું એવા દાવા કરેલા પણ આ દાવા ફૂસ્સ થઈ ગયા પછી હવે ભાજપ સાથી પક્ષોના શરણે આવી ગયો છે. ભાજપ એકદમ ઢીલો પડી ગયો છે અને બધી બેઠકો છોડીને સાથી પક્ષોને સાચવવામાં લાગ્યો છે તેનો પુરાવો એ પણ છે કે, મંગળવારે ભાજપના હેડક્વાર્ટર પર કહેવાતા વિજયોત્સવને મનાવવા માટે થયેલા કાર્યક્રમમાં એનડીએના નેતાઓનાં હોર્ડિંગ્સ લગાવાયાં હતાં. બાકી અત્યાર લગી ભાજપ નરેન્દ્ર મોદી સિવાય કોઈને નેતા જ ગણવા તૈયાર નહોતો. એનડીએના નેતાઓનાં પોસ્ટર ભાજપ હેડક્વાર્ટર પર લાગે તેની તો કલ્પના પણ થઈ નહોતી શકતી. ભાજપના કાર્યકરોને કરેલા સંબોધનમાં પણ જે.પી. નડ્ડાથી માંડીને નરેન્દ્ર મોદી સુધીના બધાએ એનડીએની જીત છે એવું કહેવું પડ્યું.
આ પરિણામોએ એક સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે, ભાજપના નેતા અત્યાર સુધી તેમને જે રીતે અત્યાર સુધીના સૌથી વધારે લોકપ્રિય અને મહાનત્તમ વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતા હતા એવી તેમની લોકપ્રિયતા નથી. ભાજપના નેતા સતત નરેન્દ્ર મોદીની સરખામણી દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે કર્યા કરે છે. નહેરુએ આ ભૂલ કરી ને પેલી ભૂલ કરી ને મોદી હવે આ ભૂલોને સુધારી રહ્યા છે એવી વાતો કરે છે. ત્રીજીવાર વડાપ્રધાન બનવાના નેહરૂના રેકોર્ડની મોદીએ દસકાઓ બાદ બરાબરી કરી પણ વ્યકિતત્વની દ્રષ્ટિએ નેહરૂ વધુ ઉદારવાદી અને સહિષ્ણુ હતા તેનો ઇન્કાર થઇ શકે તેમ નથી. ભુતકાળ ભુલી ડોકીયું કરીએ તો ભાગલા સમયે અને સ્વાતંત્રય બાદ પાક-ચીનના ઇરાદાઓ કહી ન શકતા બદલ તેમને દોષ આપવામાં આવે છે પણ એમને રાષ્ટ્રદ્રોહી કહેવા એ તેમનું અપમાન હશે. માણસને ઘણીવખત જે તે ક્ષણે ત્વરીત નિર્ણય લેવો પડતો હોય છે. એમાં નેહરૂની ચુકને અંગ્રેજીમાં જજમેન્ટલ એરર ગણાવી જોઇએ. ભાગલા વખતની વારસામાં મળેલી કોમી સમસ્યા 1962ના યુધ્ધના કારણે એ સમયે આથિક રીતે નબળા ભારતને ઘણો ધક્કો વાગ્યો હતો. અનાજ પણ આયાત કરવું પડતું હતું. એ સંજોગોમાં હરિત ક્રાંતિ, આજના મોટા કદના જાહેર એકમો એમની દેન છે. એમણે કશું ન કર્યું એવું સતત દોષારોપણ ભાજપ બંધ કરે અને નેહરૂ કરતાં મોદી ચડિયાતા એવા વહેમમાં ન રહે.