ચોમાસાના આગમનની છડી પોકારતી મેઘસવારી
રાજ્યના 72 તાલુકામાં 3.5 ઇંચ સુધી વરસાદ, ભરૂચ-વડોદરામાં વૃક્ષો-વીજળી પડવાથી ચારના મોત
ગુજરાતમાં ધીરેધીરે મેઘરાજાની એન્ટ્રી થઇ રહી હોય તેમ છેલ્લા 24 કલાકમાં 72 તાલુકામાં સામાન્ય ઝાપટાથી માંડી 3 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદ અને વાઝડીના કારણે વૃક્ષ રીક્ષા અને કાર ઉપર ખાબકતા મહીલા અને બે યુવાનોના મોત નિપજયા હતા. જયારે વડોદરાના આકોટામાં વિજળી પડવાથી એક આધેડનું મોત નિપજતા કુલ ચાર માનવ જીંદગીનો ભોગ લેવાયો હતો.
આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન ડોલપાણમાં સૌથી વધુલ 3.5 ઇંચ, વાલોદમાં 3.5, ધરમપુર અને બાબરામાં 3, કાપરાડા તથા કંવાટમાં બે ઇંચ, લાઠી-ઉમરપાડા- તિલકવાડા- વ્યારામાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. રવિવારે સાંજના રાજ્યનાં વરસાદી માહોલ છવાયો હતો, જેમાં સૌથી વધુ અમરેલીના બાબરા તાલુકામાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
આ ઉપરાંત છોટા ઉદેપુરના ક્વાંટમાં પોણા બે ઈંચ, નર્મદા જિલ્લાના તીલકવાડા અને નાંદોદમાં સવા ઈંચ અને તાપી જિલ્લાના ડોલવણ વ્યારા અને સોનગઢમાં પણ સવા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તાપીના વ્યારા, જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં પણ એક ઈંચ જ્યારે અમરેલીના ખંભાળિયા અને ભરૂૂચનાં નેત્રંગ તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં પણ રાતના આઠ વાગ્યા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો.
ભારે પવન સાથે એસજી હાઈવે, પ્રહલાદનગર, મકરબા, ન્યૂ રાણિપ, જગતપુર, ઘોડાસર, ઈસનપુર, રખિયાલ મણિનગર, કાંકરિયા, પાલડી, વસ્ત્રાપુર, ઘાટલોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો હતો.
વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભરૂૂચના શુક્લતીર્થ ગામમાં ભારે પવન ફુંકાતા વડનું વૃક્ષ ઘરાશાયી થતાં કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી, જેમાં મહિલા સહિત ત્રણનાં મોત નીપજ્યા છે.
આ ઉપરાંત વડોદરાના અકોટા ખાતે વીજળી પડતાં એક યુવકનું મોત નીપજ્યું હતું.ભરૂૂચ તાલુકાનાં શુકલતીર્થ ગામમાં ભારે પવન ફુંકાતા એક વડનું ઝાડ ધરાશાયી થયું હતું. સો વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થતાં વૃક્ષ નીચે કાર અને રીક્ષા દબાઈ ગઈ હતી.
રીક્ષામાં બેઠેલ એક મહિલાનું ઘટના સ્થળ પર જ જ્યારે કારમાં સવાર બે યુવકના સારવાર દરમિયાન મોત નીપજ્યાં હતાં. આ ઉપરાંત વડોદરાના અકોટામાં વીજળી પડતા એક આધેડનું મોત નીપજ્યું હતું.
આજે પણ વરસાદની આગાહી
સોમવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની હવામાન ખાતાની આગાહી છે. એ પછીના દિવસોની વાત કરવામાં આવે તો મંગળવારના રોજ પંચમાહલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડશે. બુધવારના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદ પડશે.