ભાવનગરમાં ચાર મંદિર, એક મસ્જિદનું મેગા ડિમોલિશન
રાજ્યમાં ફરી એકવાર ‘દાદાનું બૂલડોઝર’ ફરી વળ્યુ છે, આ વખતે દાદાના બૂલડોઝરની કામગીરી ભાવનગર શહેરમાં શરૂૂ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી વિવાદ ચાલી રહેલા શહેરના બોરતળાવ વિસ્તારમાં આ મેગા ડિમોલેશન શરૂૂ કરાયું છે, હાઇકોર્ટના ચૂકાદા બાદ આજે રોડ પરથી ચાર મંદિર અને એક મસ્જિદ સહિતના દબાણોને દુર કરાયા છે.
છેલ્લા કેટલાક સમયથી ભાવનગરમાં ચાલી રહેલા વિવાદ પર આજે પાલિકા દ્વારા મોટુ એક્શન લેવામાં આવ્યુ છે. શહેરમાં આવેલા બોરતળાવ વિસ્તારમાં ભાવનગર મહાનગર પાલિકાની ટીમે મેગા ડિમોલેશનની કામગીરી શરૂૂ કરી છે. શહેરમાં આવેલા બોરતળાવ ધોબી સોસાયટી વિસ્તારથી બેન્ક કોલોની તરફ જવાના રસ્તા પર દબાણ હટાવવામાં આવ્યુ છે. અગાઉ આ રોડ પરના દબાણને લઇને હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી, અને લાંબા સમય બાદ તેનો ચૂકાદો મહાનગરપાલિકાના તરફેણમાં આવ્યો હતો, જે પછી આજે શહેરમાં મેગા ડિમોલેશન શરૂૂ કરાયુ હતું. આ દરમિયાન તંત્ર દ્વારા રોડ પરના ચાર મંદિરો અને એક મસ્જિદને પણ તોડી પડાઇ હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહાનગર પાલિકાની ટીમની સાથે 70થી વધુ પોલીસ જવાનોને સાથે રખાયા હતા.
આ પહેલા કચ્છ, જામનગર અને દ્વારકાના કેટલાક વિસ્તારોમાં તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. હાલમાં કેટલાક વિસ્તારોમાં સર્વે અને નકશાના અભ્યાસ બાદ તંત્રએ પોલીસ ટીમને સાથે રાખીને બૂલડોઝર કાર્યવાહી શરૂૂ કરી છે. આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.