અગ્નિકાંડમાં મનપાની નિષ્કાળજી રહી છે, ભૂલ સ્વીકારવી જોઈએ : વાળા
ધનની જરૂરિયાત હોય એટલું જ કમાવું જોઈએ
ભૂલની કબૂલાત નહીં કરીએ તો એવી ભૂલનું પુનરાવર્તન થયા જ કરશે
ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાનું યોગ દિવસની ઉજવણીમાં સ્ફોટક નિવેદન
રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ અધિખારીઓના ભ્રષ્ટાચારના પોપડા ખુલી રહ્યા છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાાજ્યના પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ આજે યોગ દિવસની ઉજવણી દરમિયાન કેટલાક ગોફણીયા માર્યા હતાં.
રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીઓ પર કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ ટકોર કરી છે,વજુભાઇ વાળાએ ભ્રષ્ટ અધિકારીઓ મુદ્દે નિવેદન આપ્યું છે કે,ધનની જેટલી જરૂૂરિયત હોઈ એટલું જ કમાવવું જોઈએ,જે લોકો ભ્રષ્ટાચાર કરે છે એ મન કરતા આત્માનું સાંભળે તો ભ્રષ્ટાચાર ન કરે.ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, રાજકોટ મનપાની નિષ્કાળજી રહી છે. કોઇ પણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય કોર્પોરેશનની મંજૂરી જોઇએ. મનપાએ ભૂલ સ્વીકારવી જ જોઇએ. રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃતિ બંધ કરાવવાની જવાબદારી મનપાની છે. જીંદગીમાં થયેલી ભૂલની કબુલાત નહીં કરીએ તો એવી ભૂલનું પુનરાવર્તન જ થયા કરશે.
ઓફિસરો સામે પણ પગલા લો, આપણે એવુ ન કહેવાય કે પરવાનગી નહોતી આપી એટલે અમારો કોઇ રોલ નથી. પરવાનગી નહોતી આપી તોય ત્યા ગેમ ઝોન તો હતો જ. તો ધ્યાન શું રાખ્યુ?રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં 32 નિર્દોષ લોકો હોમાઇ ગયા છે. આ મામલે તપાસ કરવા માટે એસઆઇટીની પણ રચના કરાઇ છે. જો કે કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાએ આ ઘટના અંગે ઉગ્ર રોષ પ્રગટ કર્યો હતો.આ દુર્ઘટના છે. ભુતકાળમાં બનેલી ઘટનાઓમાંથી બોધપાઠ લઇને કોર્પોરેશન, જીઇબી અને પોલીસ સહિતના તમામ વિભાગે પરવાનગી આપતા પહેલાં સાત વાર વિચાર કરવો જોઇએ.
આવી ઘટનામાં સીટની રચના થાય ત્યારે સીટ ઘટના માટે કોણ જવાબદાર છે તે નક્કી કરે છે પણ આવો બનાવ ભવિષ્યમાં ના બને તે માટે લોકલ અધિકારીઓએ પગલાં લેવા જોઇએ.
બહુ સ્પષ્ટ છે કે અધિકારીનું કર્તવ્ય છે કે કોઇની પણ મીલી ભગત સાંભળ્યા વગર પોતાની ફરજ બજાવવી જોઇએ. સુપ્રીમે પણ કહ્યું કે સરકારની લેખીત સુચના જ લો જેથી તમારી જવાબદારી ના રહે. આ ઘટનાની અંદર જે ગેરકાયદેસર પરવાનગી આપી છે તેની સામે પગલા લેવા જોઇએ. પરવાનગી આપ્યા વગર પ્રવૃત્તી ચાલવા દેતા હતા તો તે અધિકારી સામે પગલાં લેવા જોઇએ.