મણિપુરના સીએમ એન બિરેન સિંહના કાફલા પર આતંકવાદીઓએ કર્યો હુમલો, 2 જવાન ઘાયલ
મણીપુરમાંથી ફરી હિંસાના સમાચાર સામે આવ્યા છે. આજે કાંગપોકપી જિલ્લામાં આતંકવાદીઓએ મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના સુરક્ષા કાફલા પર હુમલો કર્યો હતો. ઝેડ કેટેગરીના સુરક્ષાકર્મીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં અત્યાર સુધી 2 જવાન ઘાયલ થવાના સમાચાર છે.
કાફલો હિંસાગ્રસ્ત જીરીબામ જિલ્લા તરફ જઈ રહ્યો હતો. તેમણે કહ્યું કે સુરક્ષા દળોના વાહનો પર ઘણી ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમણે જવાબી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યું કે હુમલા દરમિયાન ઓછામાં ઓછો એક સૈનિક ગોળીથી ઘાયલ થયો હતો.
એક અધિકારીએ જણાવ્યું કે, “મુખ્યમંત્રી બિરેન સિંહ હજુ સુધી દિલ્હીથી મણિપુરના ઈમ્ફાલ પહોંચ્યા નથી. તે જીરીબામ જવાની યોજના બનાવી રહ્યા હતાં જેથી જીલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવે.'' ખરેખર, આતંકવાદીઓએ જીરીબામમાં બે પોલીસ ચોકીઓ, વન વિભાગની ઓફિસ અને 50 થી વધુ ઘરોને આગ ચાંપી દીધી હતી.
પોલીસે જણાવ્યું કે મણિપુરના જીરીબામ જિલ્લામાં સ્થિતિ તંગ છે, પરંતુ નિયંત્રણમાં છે. શનિવાર (8 જૂન, 2024) ના રોજ બનેલી ઘટના પછી, અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે લમતાઈ ખુનૌ, દિબોંગ ખુનૌ, નુનખાલ અને બેગરા ગામમાં 70 થી વધુ ઘરોને આગ લગાડવામાં આવી હતી.