સિહોરમાં પાંચ વર્ષ પહેલાંના સગીરા દુષ્કર્મના કેસમાં શખ્સને આજીવન કેદ
ભાવનગર જિલ્લાના સિહોરમાં પાંચ વર્ષ પહેલા બીજી વખતની પત્ની સાથે આવેલ સગીરવાયની દીકરી ઉપર દુષ્કર્મ અને જાતીય સતામણીના કેસમાં અદાલતે આરોપીને કસૂરવાર ગણી આજીવન કેદની સજા અને રૂૂ. 20 હજાર રોકડાનો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને રૂૂ. 4.5 લાખ વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.
આ કેસ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જિલ્લાના સિહોરના રામનગર, પ્લોટ વિસ્તારમાં રહેતા મૂળ ધારી, જિ. અમરેલીના વતની મુકેશ હરિભાઈ મકવાણા ( ઉં.વ. 40 ) ના બીજી વખતના પત્ની સિહોર મુકામે મજૂરી કામ માટે આવ્યા હતા અને તેમની પ્રથમ પતિથી થયેલ સગીર પુત્રીને ગત તા.01/04/2019 ના રોજ રસોઈ કરવા માટે સિહોર તેડી લાવ્યા હતા. દરમિયાન આરોપી મુકેશ હરિભાઈ મકવાણા એ તા.01/04 થી 14/04/2019 દરમિયાન તેમની બીજીવારની પત્નીની સગીર દીકરી સાથે દુષ્કર્મ અને જાતિય સતામણી કરી હતી.
આ બનાવ અંગે સગીરાના માતાએ શિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સિહોર પોલીસે આઇપીસી કલમ 376(2) (એફ ) તથા પોકસોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
આ બનાવ અંગેનો કેસ ભાવનગરના ચોથા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અને સ્પેશિયલ પોકસો જજ એમ.પી. મહેતાની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી.જી.મંડલિયા અને સી.એમ. પરમાર ની ધારદાર દલીલો, દસ્તાવેજી પુરાવાઓ વગેરે ધ્યાને લઈને અદાલતે આરોપી મુકેશ હરિભાઈ મકવાણાને કસુરવાર ગણી આજીવન સખત કેદની સજા ફરમાવી છે,તેમજ રૂૂ.20,000/- નો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની કેદની સજા ફરમાવી છે. આ ઉપરાંત અદાલતે ભોગ બનનારને વિકટીમ કમ્પેન્સેશન સ્કીમ હેઠળ રૂ.4,50,000/- વળતર ચૂકવવા પણ ભલામણ કરી છે.