મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસનું રાજીનામું નામંજૂર
ભાજપને મજબૂત કરવા કામ કરતા રહેવા શાહની સલાહ
લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. દેવેન્દ્ર ફડણવીસ તેમની વાત પર અડગ હોવાના અહેવાલો વચ્ચે સમગ્ર મામલે અમિત શાહની એન્ટ્રી થઈ હતી. વિગતો મુજબ અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી અને તેમને તેમના પદ પર રહેવા આદેશ આપ્યો અને તેમને સરકારમાં કામ કરવાનું ચાલુ રાખવા કહ્યું.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ફડણવીસ, શિવસેનાના એકનાથ શિંદે જૂથ અને અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે મહારાષ્ટ્ર સરકારનો ભાગ છે. નોંધનિય છે કે, 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેના અને ભાજપે રાજ્યમાં 48માંથી 41 બેઠકો જીતી હતી પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિ નામનું નવું ગઠબંધન આ વખતે માત્ર 17 બેઠકો જ મેળવી શક્યું છે.
તાજેતરમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ની બનેલી મહા વિકાસ અઘાડીએ 30 બેઠકો જીતી છે. જે બાદ ફડણવીસે મતગણતરીનાં એક દિવસ બાદ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી અને ત્યારથી ભાજપના અનેક નેતાઓએ તેમની સાથે વાત કરી છે.
નોંધનિય છે કે, મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરની આસપાસ વિધાનસભા ચૂંટણી યોજાવાની શક્યતા છે. અમિત શાહે ફડણવીસને કહ્યું, જો તમે રાજીનામું આપો છો તો તેનાથી ભાજપના કાર્યકર્તાઓના મનોબળને અસર થશે. તેથી હવે રાજીનામું ના આપો.