પીપાવાવ પોર્ટમાં ફોરેસ્ટ કર્મચારી ઉપર સિંહનો હુમલો, ફફડાટની લાગણી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટનો દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તાર સિંહોને રહેઠાણ માટે અનુકુળ આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પીપાવાવ પોર્ટના આદ્યોગિક એકમ વિસ્તારમાં અવારનવાર સિંહ પરિવારની લટારના વીડિયો સામે આવી ચૂક્યાં છે. એવામાં પીપાવાવ પોર્ટમાં સિંહે ફોરેસ્ટ કર્મચારી પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
હકીકતમાં પીપાવાવ પોર્ટમાં 8 થી 9 સિંહનું ગ્રુપ અત્યારે વસવાટ કરી રહ્યું છે, ત્યારે અહીં ફોરેસ્ટ ઑફિસર તરીકે ફરજ બજાવી રહેલા અમરુભાઈ વાવડિયા પોર્ટના તળાવ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે અચાનક ધસી આવેલા સિંહે અમરુભાઈના જમણા પગ પર બચકું ભર્યું હતુ.આ બાબતની જાણ થતાં રાજુલા વન વિભાગ દ્વારા હુમલાખોર સિંહની શોધખોળ હાથ ધરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્ત અમરુભાઈને સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.વન વિભાગના કર્મચારીઓ પર જંગલમાં વસવાટ કરતાં સિંહ સહિત અન્ય પ્રાણીઓનું ધ્યાન રાખવાની જવાબદારી હોય છે. આથી આવા કર્મીઓ સિંહની નજીક જાય તો નવાઈ નથી હોતી. દરરોજ સિંહ સાથે કામ કરતાં હોવાના કારણે ઘણી વખત વન વિભાગના કર્મચારીઓ બેદરકાર થઈ જતા હોય છે અને એવું માને છે કે, સિંહ તેમને નુકસાન નહીં પહોંચાડે. વન કર્મીઓ ભૂલી જાય છે કે, સિંહની પ્રકૃતિ જ હુમલો કરવાની છે. જેના પગલે આવી ઘટના બનતી હોય છે.