સેન્ટર ઓફ એકસેલન્સના નામે ખાનગી યુનિવર્સિટીઓને શૈક્ષણિક ફીમાં ઉઘાડી લૂંટ ચલાવવાનો પરવાનો, ઊંડી રાજરમત
ખાનગી શાળા-કોેલેજોને ફી રેગ્યુલેશન કમિટીના ધારા ધોરણો લાગુ પડાયા પણ સેન્ટર ઓફ એકસેલન્સના નામે ખાનગી યુનિ.ઓને ‘ઉઘરાણા’ની સ્વતંત્ર્તા
સામાન્ય એન્જિનિયરિંગ કોલેજમાં વર્ષની 1 લાખ સુધીની ફી માંડ માન્ય થાય જ્યારે આ યુનિવર્સિટીઓમાં અઢી લાખ સુધીના ઉઘરાણા
'એડમિશન કમિટી દ્વારા ફક્ત 33 ટકા સીટ ભરવાની વિચિત્ર જોગવાઇ'
2021ના જૂન મહિનામાં કરેલી જાહેરાતને બે વર્ષ બાદ પરિપત્ર કરી જૂન-2023થી લાગુ પણ કરી દેવાઈ
ગુજરાતમાં સરકારી શાળા કોલેજોને તાળા મારી ખાનગી શાળા-કોલેજ સંચાલકોને ઉંચી ફી વસૂલવાનો પરવાનો આપવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે ફી રેગ્યુલેટરી કમિટીમાં પણ લોકોને મુર્ખ બનાવી શાળા-કોલેજ સંચાલકોના સાચા ખોટા ખર્ચના હિસાબો મંજુર કરી ઉંચી ફી નક્કી કરી દેવામાં આવે છે જ્યારે સાત યુનિવર્સિટીઓને તો સરકારે લુંટનો રીતસર પરવાનો આપી દેવામાં આવ્યો હોય તેમ સેન્ટર ઓફ એકસેલન્સના નામે પાછલા બારણે ખાનગી યુનિવર્સિટીઓને ફી નિર્ધારણ કમિટીમાંથી બહાર કાઢી નાખવામાં આવી છે જેના કારણે ખાનગી કોલેજો કરતાં ખાનગી યુનિવર્સિટીઓ છાત્રો પાસેથી ત્રણ ત્રણ ગણી ઉંચી ફી વસુલી રીતસર લુંટ ચલાવી રહી છે.
રાજ્ય સરકાર કક્ષાએ જ ખાનગી યુનિવર્સિટીઓને મનફાવે તેવી ફી ઉઘરાવવાની છુટ આપવા બાકાયદા કાયદાકીય રસ્તો કાઢી આપવામાં આવ્યો હોય તેવી સ્થિતિ છે. વગદાર અને મોટી રાજકીય ઓથ ધરાવતી ખાનગી યુનિવર્સિટીઓને ફી રેગ્યુલેટરી કમિટીની બહાર કાઢવા માટે પણ સેન્ટર ઓફ એકસેલન્સનું ગતકડુ ઉભુ કરાયું હોવાની છાપ ઉપસી રહી છે.
રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી રાજ્યના મુખ્યમંત્રી હતાં ત્યારે લાખો વિદ્યાર્થીઓના વાલીઓના હિત માટે ફી નિયમન કમિટી બનાવીને લોકોને ભારે ભરખમ ફીના ખર્ચાથી રાહત આપી હતી. પરંતુ આવી જ રાહતમાં પાછલા બારણે છીંડુ આપ્યુ હોય તેમ રાજ્યની 7 યુનિવર્સિટીઓએ સેન્ટર ઓફ એકસલન્શના બહાને રાજ્યની બીજી કોલેજો કરતાં બે થી અઢી ગણી ફી વસુલવાનું ચાલુ કરી દીધું છે. સરકારે જ પરિપત્ર બહાર પાડીને આ અંગે રસ્તો આપી દીધો હોય હાલમાં હજારો વિદ્યાર્થીઓના વાલીઓ લોન લઈને પણ આવી કોેલેજોમાં ઉચી ફી ભરે છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે 1-જૂન 2021નાં રોજ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યની 7 યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એકસલન્સ આપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ તે અંગે સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ન હતો. આ અંગે ભાજપની જ વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પણ રજૂ કરાયો હતો. એબીવીપી દ્વારા કહેવાયું હતું કે ફકત રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓને જ સેન્ટર ઓફ એકસલન્સમાં સમાવવામાં આવી છે. સરકારી એક પણ યુનિવર્સિટીનો સમાવેશ થતો નથી. પરિણામે બે વર્ષ સુધી આ મુદ્દે કોઈપણ પરિપત્ર બહાર પડાયો ન હતો. પરંતુ ગયા વર્ષે 7- માર્ચ 2023નાં રોજ નોટીફીકેશન બહાર પાડીને સરકારે 7 યુનિવર્સિટીઓને સેન્ટર ઓફ એકસલન્સનો કાયદેસર દરજ્જો આપી દીધો હતો. જેનાથી તે યુનિવર્સિટીમાં ચાલતી કોલેજોના એન્જીનીયરીંગ, આર્કીટેક અને ફાર્માસી જેવા અભ્યાસક્રમોમાં મસમોટી ફી વસૂલી શકાય છે અને આ યુનિવર્સિટીઓને સરકાર દ્વારા બનાવવામાં આવેલી ફી નિયમન કમીટીની જોગવાઈઓ પણ લાગુ પડતી નથી.
આ વર્ષે ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા જેટલું ઉંચુ રિઝલ્ટ આવતાં કુલ 91625 વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાંથી એ ગ્રુપ કે એ, બી ગ્રુપ સાથે વિજ્ઞાન પ્રવાહ પાસ કરનારા વિદ્યાર્થીઓ સ્વભાવિક રીતે ઈજનેર બનવાનું સ્વપ્ન સેવતાં હોય છે અને તેમના વાલીઓ પણ તે માટે નાણાંકીય ખર્ચ ભલે થાય પરંતુ સંતાનોના શિક્ષણ માટે લોન લઈને પણ ફી ભરતાં હોય છે. ગુજરાતમાં સામાન્ય રીતે એન્જીનીયરીંગ કોલેજોની ફી રેગ્યુલેટરી કમીટી દ્વારા નક્કી કરવામાં આવતી હોય છે. ફી રેગ્યુલેટરી કમીટી દ્વારા વર્ષ 2023-24 માટે સૌથી વધુ વાર્ષિક ફી પૈકી સાર્વજનિક કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજીની ફી 1.28 લાખ અને એડીઆઈટી-વિદ્યાનગરની ફી 1.14 લાખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ સેન્ટર ઓફ એકસલન્સ દ્વારા એન્જીનીયરીંગ અભ્યાસક્રમ માટે આ ફી સવા બે થી અઢી લાખ રૂપિયા સુધી ઉઘરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓના વાલીઓને આટલી તોતીંગ ફી છતાં કઈ પણ ફી નિયમન ન હોવાથી કયાય પણ રજૂઆત પણ કરી શકાતી નથી.
ફી રેગ્યુલેટરી કમિટીમાં સમાવેશ ન થતો હોવાથી મન પડે તેટલી ફી ઉઘરાવવાની છૂટ
સરકાર દ્વારા 7 માર્ચ 2023માં પરિપત્ર કરીને સેન્ટર ઓફ એકસલન્સના નામે આ યુનિવર્સિટીઓને એફઆરસી કમિટીની બહાર મુકી દેવામાં આવી છે. જેથી આ યુનિવર્સિટીઓ ફી નક્કી કરવા માટે સ્વતંત્ર છે તેના પર કોઈપણ પ્રકારની લગામ નથી. સરકારે પીળો પરવાનો આપી દીધો હોવાથી આ યુનિવર્સિટી દ્વારા જેટલી ફી નક્કી કરે તેટલી વિદ્યાર્થીઓના વાલીઓએ ચુકવવી પડે છે.