ગીર ગઢડા પંથકના જમજીર ધોધ નજીક દબાણો હટાવી રૂા.6 કરોડની જમીન ખુલ્લી કરાઇ
દબાણો દૂર થતાં પ્રવાસીઓની સગવડતા વધશે
ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામ પાસે આવેલ પ્રખ્યાત જમજીર ધોધની મુલાકાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે. આ સ્થળે પાર્કિંગની અપૂરતી સુવિધા તેમજ સાંકડા રસ્તાના કારણે પ્રવાસીઓને મુશ્કેલીઓ પડતી હતી.
આ બાબત ધ્યાનમાં આવતાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જમજીર ધોધની રૂબરૂ મુલાકાત લીધી હતી અને આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ જગ્યાની આસપાસની સરકારી જમીનના અનઅધિકૃત દબાણો આઇડેન્ટીફાય કરી તા. 14/06/2024ના રોજ જિલ્લા જમીન દફતર નિરીક્ષક, ગીર સોમનાથ દ્વારા માપણી કરાવી, સરકારી સ.નં.49 પૈકીની જમીનની હદ નક્કી થતાં તેમાં જુદા-જુદા આસામીઓના ખેતી અને બિનખેતી વિષયક દબાણો ધ્યાને આવ્યાં હતાં.
આ અનઅધિકૃત દબાણો ખુલ્લા કરવા કલેક્ટરની સીધી સૂચના અને માર્ગદર્શન મુજબ આજ તા:-17/06/2024ના રોજ ગીર ગઢડા તાલુકાના જામવાળા ગામે આવેલ પ્રસિદ્ધ જમજીર ધોધની આસપાસના સરકારી સર્વે-49 પૈકીની જમીનના ખેતી તથા બિનખેતી વિષયક દબાણો દૂર કરવા નાયબ કલેક્ટર, ઉના, મામલતદાર, ગીર ગઢડા તેમજ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જેમાં કુલ અંદાજીત હે.08-90-34 ચો.મી. જમીનના કુલ-3 આસામીના દબાણો ખુલ્લા કરવામાં આવ્યાં હતાં. જેની હાલની અંદાજિત બજાર કિંમત રૂ. 6,00,00,000(અંકે રૂૂપિયા છ કરોડ )જેટલી થવા જાય છે.
આ દબાણો દૂર થતા પ્રવાસીઓ તેમજ રાહદારીઓને પાર્કિંગ અને પહોળા રસ્તાની સુવિધા ઉપલબ્ધ થશે.