પોરબંદરના ઉદ્યોગનગરમાં શ્રમિક યુવાનની હત્યા
મૃતક બળજબરીથી પેશાબ પીવડાવતો હોવાથી અન્ય શ્રમિકે હત્યા કરી: આરોપી ભાગવા જતા વાહન સાથે અથડાતા ઇજાગ્રસ્ત
પોરબંદરના ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા એક કારખાનામાં શ્રમિક યુવાનની કરપીણ હત્યા થઇ છે. આ ખૂન કર્યા બાદ આરોપી ભાગવા જતા તે પણ બોલેરો વાહન સાથે અથડાતા તેને ગંભીર ઇજા થઇ હતી.આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ શરૂૂ કરી છે. વધુ વિગતો મુજબ,પોરબંદરના મીરાનગર-2માં રહેતા અને ઉદ્યોગનગરમાં આવેલ જી.આઇ.ડી.સીમાં માધવ પેવર પ્રોડકશન નામનું પેવરબ્લોકનુ કારખાનુ છેલ્લા દસ વર્ષથી ચલાવતા નેભાભાઇ રામભાઇ બાપોદરા ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમના કારખાનામાં ઉના તાલુકાના સામતેર ગામનો રમેશ રામ સોલંકી નામનો યુવાન કારખાને રહેતો હતો અને કારખાનામાં જ કામ પણ કરતો હતો તથા સાતેક વર્ષ પહેલા યુ.પી.ના દાતાગંજ ખાતેથી આવેલ ઇસ્તીયાક શાહ તેના પરિવાર સાથે આવ્યો હતો અને મજૂરીકામ કરતો હતો.ગઇકાલે સવારે નેભાભાઇ તેના કારખાને ગયા ત્યારે ગુલજારને ફરીયાદીએ પૂછયુ કે તું આધારકાર્ડ લઇને આવ્યો હોય તો તને કામ પર રાખીશ.તેમ કહી ફરીયાદી કારખાનેથી નીકળી ગયા હતા. અને મજૂર રમેશ સોલંકી તથા ગુલજાર સાથે બેઠા હતા એટલે ચા-પાણી નાસ્તો કરવા માટે ફરીયાદીએ 100 રૂૂમ. આપ્યા હતા.બપોરે ફરીથી ફરીયાદી કારખાને આવ્યા ત્યારે મજૂર રમેશ હાજર હતો અને ગુલજાર અંગે પૂછતા તેણે એવું જણાવ્યુ હતુ કે તે કોઇને કશુ કહયા વગર જતો રહ્યો છે.ફરીયાદી ઘરે જતા રહ્યા હતા અને ગુલજાર શાહે ફોન કરીને ફરીયાદીને એવુ જણાવ્યુ હતુ કે તેની પાસે આધારકાર્ડ નથી.
ત્યારબાદ રાત્રે ફરિયાદીએ રમેશને ફોન કર્યો હતો પણ તેણે ફોન ઉપાડયો ન હતો ત્યારબાદ ગુલજારને પણ ફોન કર્યો હતો પણ તેણે પણ ફોન ઉપાડયો ન હતો.આથી ફરીયાદી અને તેના પત્ની સાધનાબેન તેમના ઘરેથી કારખાને પહોંચ્યા હતા અને જઇને જોયુ તો કારખાનાનો દરવાજો અડધો ખુલ્લો હતો અને ગોડાઉનનું મુખ્ય શટર બંધ હતુ,નાનુ શટર ખુલ્લુ હતુ.રમેશનું બાઇક જોવા મળ્યુ હતુ પણ બંને મજૂરો જોવા મળ્યા ન હતા.આથી ફરીયાદીએ રમેશના મોબાઇલ ઉપર ફોન કરતા તેના રૂૂમના ખાટલા પર ફોનની રીંગ વાગી હતી.તેથી ફરીયાદીને ચિંતા થઇ કે રમેશ કયાં ચાલ્યો ગયો?
બાદમાં સવારે કારખાને પહોંચ્યા ત્યારે પેવરબ્લોકના ઢગલા પાસે લોહીલુહાણ હાલતમાં અને અર્ધનગ્ન અને મૃત અવસ્થામાં રમેશ સોલંકી નજરે ચડયો હતો જેને બોથડ પદાર્થ વડે માર મારવામાં આવ્યો હતો.આથી ફરીયાદીએ ગુલજારને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો આથી ગુલજારે જ રમેશનું ખૂન કર્યાનું ફરીયાદીને જણાયુ હતુ તેથી પોલીસ મથકે આવીને બનાવની જાણ કરી હતી અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તથા ત્યારબાદ કારખાનેદારે ગુલજાર ઇસ્તિયાક શાહ સામે મજુર રામ સોલંકીની હત્યાનો ગુન્હો નોંધાવ્યો છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે,મૃતક બળજબરીથી પેશાબ પીવડાવતો હોવાથી હત્યા કર્યાનું જાણવા મળ્યું છે.